જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીના ભાગરૂપે રિહર્સલ પરેડ યોજાઈ
જામનગર, તા. 24
જામનગર શહેરમાં આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીના ભાગરૂપે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં જિલ્લાના અધિકારીઓની હાજરીમાં રિહર્સલ પરેડ યોજવામાં આવી હતી. માત્ર 150 લોકોની હાજરીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જામનગર જિલ્લામાં 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજવામાં આવી રહી છે, જે અંતર્ગત આજે સવારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રિહર્સલ પરેડ યોજવામાં આવી હતી. આ સમયે જામનગરના જિલ્લા ના અધિક કલેકટર, પ્રાંત અધિકારી, ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા, સહિતના અધિકારીઓ તથા અન્ય પોલીસ સ્ટાફ વગેરે હાજર રહ્યા હતા, અને જામનગરના પોલીસ અને હોમગાર્ડના જવાનો દ્વારા બેન્ડની સાથે પરેડ કરવામાં આવી હતી, જેનું અધિકારીઓની હાજરીમાં રિહર્સલ કરી લેવાયું હતું.
આગામી 26મી જાન્યુઆરીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે માત્ર 150 લોકોની હાજરીમાં જ પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે. તે માટે વહીવટી તંત્ર દ્વારા નિર્ધારિત સંખ્યામાં નિમંત્રણ આપવામાં આવી રહ્યા છે. સૌપ્રથમ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે ધ્વજ વંદન કરાયા પછી પોલીસ પરેડ યોજાશે, ત્યાર પછી કોરોના વોરિયરનું સન્માન, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાશે. અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યા છે.