જામનગરમાં 1150 બેડની નવી સરકારી હોસ્પિટલનું થશે બાંધકામ : સરકાર દ્વારા મંજૂરી અપાઈ
- 650 બેડની ઓર્થો, ઈ એન ટી, સર્જરી, રેડીઓલોજી અને આઇ.સી.યુ. વાળી હોસ્પિટલનું થશે નિર્માણ
- જી.જી.હોસ્પિટલના પરિસરમાં 500 બેડની માતૃ બાળ હોસ્પિટલ પણ બનશે
જામનગર,તા.31 મે 2023,બુધવાર
જામનગરની દાયકાઓ જૂની સરકારી ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલના જુના બિલ્ડીંગના સ્થાને નવા બિલ્ડીંગના બાંધકામ માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી.જેના અનુસંધાને આજે રાજ્યનાં આરોગ્ય વિભાગ દ્વારા આજે પ્રથમ તબક્કામાં રૂ.50 કરોડની રકમને મંજુરી આપવામાં આવી.છે.
જામનગરની જુની ઇરવિન હોસ્પિલ અને હાલ ગુરૂ ગોવિંદસિંહનાં નામે ઓળખાતી સરકારી હોસ્પિટલનાં વર્ષો જૂના બાંધકામને તોડી પાડી તે સ્થળે નવું બાંધકામ કરવા માટે સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ બાબતે સ્થાનિક પદાધિકારીઓ દ્વારા પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. જેના અનુસંધાને વર્ષ 2023-24ના બજેટમાં આ નવા પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આશરે રૂ.500 કરોડનાં આ કુલ પ્રોજેક્ટ માટે આજે પ્રથમ રૂ. 50 કરોડની રકમને મંજુરી આપવામાં આવી છે.
જામનગરની લગભગ નવ દાયકા જુની જી જી હોસ્પિટલના જૂના બિલ્ડીંગને તોડી પાડી એ જગ્યામાં નવી ઓપીડી બિલ્ડીંગ અને 650 બેડની ઓર્થોપેડીક, આંખ, ઇ એન ટી, સર્જરી, રેડીઓલોજી અને આઇસીયુ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તેમજ 500 બેડની માતૃ બાળ હોસ્પિટલનું બાંધકામ કરવામાં આવનાર છે. જેને આજે સરકાર દ્વારા વહીવટી મંજૂરી આપી દેવા આવી છે.
જો કે આજે ફક્ત પ્રથમ 50 કરોડની રકમને જ મંજુરી મળી છે. સમગ્ર પ્રોજેક્ટ આશરે લગભગ 500 કરોડનો થવા જાય છે.
આમ અગાઉ જામનગરમાં 700 બેડની નવી હોસ્પિટલ બન્યા પછી હવે વધુ 1150 બેડની હોસ્પિટલ માટેનાં બાંધકામને મંજૂરી મળતા શહેર જિલ્લા સહિતનાં લોકોને વધુ આરોગ્ય વિષયક સેવા મળે તેના દવાર ખુલ્યા છે. આ માટે હોસ્પિટલ સત્તાવાળાઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેને સફળતા સાપડી છે.