- બાળકો અંગેની તકરારમાં મોટેરાઓ બાખડી પડયા પછી પાડોશીઓએ માતા-પુત્રીને ઘાયલ કર્યા
જામનગર, તા. 02
જામનગરમાં ગુલાબનગર નજીક દેવીપુજક વાસ વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાની પુત્રી ઉપર હુમલો કરવા અંગે બે પડોશીઓ સામે ફરિયાદ નોંધાવી છે. બાળકો અંગેની તકરાર પછી ઝઘડો થતાં પાડોશીઓએ આ હુમલો કર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરના ગુલાબનગર નજીક દેવીપુજક વાસ નવનાલા પાસે રહેતી રાધાબેન પ્રવીણભાઈ ડાભી નામની ૩૦ વર્ષની દેવીપુજક મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાની પુત્રી અંજલી ઉપર હુમલો કરવા અંગે પોતાના પાડોશમાં રહેતા સંજય મનુભાઇ રાઠોડ અને રોહિત મનુભાઇ રાઠોડ નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી રાધાબેન ના ભાઈ ની પુત્રી પાયલ કે જે આરોપી સંજય રાઠોડ ની પુત્રી ચંદ્રિકા સાથે ઝઘડો કરી રહી હતી. જે બાબતે સમજાવવા જતાં પાડોશીઓએ રાધાબેન અને તેની પુત્રી અંજલી ઉપર હુમલો કરી દીધો હતો. જે મામલે સીટી એ ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.


