Gujarat

જામનગરમાં મહાશિવરાત્રીના પર્વને અનુલક્ષીને સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

By GS Team
28 Feb 20222 mins read
This article was originally published on 28 Feb 2022
જામનગરમાં મહાશિવરાત્રીના પર્વને અનુલક્ષીને સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

જામનગર, તા. 28

જામનગર શહેરમાં મહાશિવરાત્રીના પર્વને અનુલક્ષીને શિવ શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે શહેરી વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે, તેના અનુસંધાને સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, અને હિન્દુ- મુસ્લિમ સમાજના આગેવાનો બેઠકમાં જોડાયા હતા, અને એખલાસ ભર્યા વાતાવરણમાં ધાર્મિક કાર્યક્રમો સંપન્ન થાય તેવી ચર્ચા થઈ હતી.

જામનગર શહેરમાં મંગળવારે મહાશિવરાત્રીના પર્વને અનુલક્ષીને શિવ શોભા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવા જઈ રહ્યા છે, ત્યારે શહેરમાં સુલેહ શાંતિ ભર્યું વાતાવરણ બનેલું રહે, તેના અનુસંધાને સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ. જે. જલુની આગેવાનીમાં બેઠક યોજાઇ હતી. જેમાં શિવ શોભાયાત્રાના આયોજક રાજુભાઈ વ્યાસ (મહાદેવ) અને તેમની ટીમ ઉપરાંત અન્ય હિન્દુ સમાજની જુદી જુદી સંસ્થાના આગેવાનો, ઉપરાંત જામનગરના સુન્ની મુસ્લિમ સમાજના ના બાવન જમાતના પ્રમુખ જુમાભાઈ ખફી, તેમજ મુસ્લીમ સમાજના અન્ય જુદા જુદા આગેવાનો સાથેની શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, અને જામનગર શહેરમાં એખલાસ ભર્યું વાતાવરણ બનેલું રહે, અને ધાર્મિક તહેવારની ઉત્સાહભેર ઉજવણી સંપન્ન થાય તે માટેની ચર્ચા થઈ હતી, અને સૌ સાથે મળીને ઉત્સવ ઉજવવા નિર્ણય લેવાયો હતો.

ઉપરાંત શહેરમાં ધાર્મિક કાર્યક્રમો દરમિયાન પુરતો પોલીસ બંદોબસ્ત જળવાઈ રહે તે માટે ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા નીતીશ કુમાર પાંડેના માર્ગદર્શન હેઠળ પોલીસ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી કે. જે. ભોયે તેમજ શ્રી એમ. જે. જલૂની રાહબરી હેઠળ સમગ્ર તહેવાર દરમિયાન શોભાયાત્રાના રૂટ પર તેમજ શહેરનાં તમામ શિવાલયોના દ્વારે પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાની જાહેરાત કરાઈ હતી.