જામનગરઃ ખાનગી લેબોરેટરી કંપનીની મહિલા કર્મચારીએ 26 લાખ ઘર ભેગા કર્યા
- જામનગરમાં એસટી રોડ પર આવેલી ખાનગી લેબોરેટરી કંપનીની મહિલા કર્મચારી એડમીન ઓફિસરનું કરતૂત
- એક મહિનાના સમયગાળા દરમિયાન લેબોરેટરીની જમા થયેલી 26 લાખ રોકડા કંપનીમાં જમા નહીં કરાવી ઉચાપત કર્યાની ફરિયાદથી ચકચાર
જામનગર, તા. 3 નવેમ્બર 2020, મંગળવાર
જામનગરમાં એસટી રોડ પર આવેલી એક ખાનગી લેબોરેટરી કંપનીમાં એકાઉન્ટ એન્ડ એડમીન ઓફિસર તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારીએ એક મહિનાના સમય ગાળા દરમિયાન લેબોરેટરીની આશરે 26 લાખ જેટલી રોકડ રકમ જમા નહીં કરાવી અંગત ઉપયોગમાં વાપરી નાખી છેતરપિંડી આચરાયાની ફરિયાદ પોલીસમાં નોંધાતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મૂળ રાજકોટમાં રહેતા અને સ્ટર્લિંગ લેબોરેટરી નામની ખાનગી લેબોરેટરીના સંચાલક કલ્પેશભાઈ ગોપાલભાઈ સેંજલીયાએ જામનગરના સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં જામનગરની પોતાની લેબોરેટરીની બ્રાન્ચમાં એકાઉન્ટ એન્ડ એડમીન ઓફિસર તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારી જલ્પાબેન મનસુખભાઈ રાઠોડ સામે રૂપિયા 26,08,145ની રકમ કંપનીમાં જમા નહીં કરાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાવી છે.
જે ફરિયાદના અનુસંધાને પોલીસે જલ્પાબેન રાઠોડ કે જેઓ જામનગરમાં રામેશ્વર નજીક સંસ્કારદીપ સોસાયટીમાં રહે છે, જેની સામે આઇપીસી કલમ 406, 408, અને 420 મુજબ ગુનો નોંધ્યો છે, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસ ફરિયાદમા જાહેર કરાયા અનુસાર જલ્પાબેન મનસુખભાઈ રાઠોડ કે જેઓ ખાનગી લેબોરેટરીમાં એકાઉન્ટ એડમીન ઓફિસર તરીકે નોકરી કરે છે, જેઓએ પોતાની ફરજ દરમિયાન તારીખ 14 જૂન 2020થી તારીખ 7 જુલાઇ 2020 સુધીના 24 દિવસના સમયગાળા દરમિયાન લેબોરેટરીમાં પ્રતિદિન કલેક્શનમાં આવેલા નાણાં રૂપિયા 6,71,411 તેમજ પોતાની લેબોરેટરી સાથે ટાયપ થયેલી અન્ય લેબોરેટરીની રૂપિયા 16,46,734 વગેરે મળી કુલ 26,08,145ની રકમ કંપનીમાં જમા નહીં કરાવી વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી હતી.
આખરે આ મામલો સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં પહોંચ્યો છે અને જલ્પાબેન સામે પોલીસ ફરિયાદ નોંધાવાતા સીટી-એ ડિવિઝનના મહિલા પીએસઆઇ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. આ કૌભાંડમાં જલ્પાબેન સાથે અન્ય કોઈ જોડાયેલું છે કે કેમ, તે અંગે પણ ખરાઈ કરવામાં આવી રહી છે.