જામનગર જિલ્લામાં જાહેરનામા ભંગ અંગેની વધુ 38 ફરિયાદ
જામનગર, તા. 18 જુલાઈ 2020 શનિવાર
જામનગર શહેર અને જિલ્લામાં હજુ પણ લોકો વિના કારણે ઘરની બહાર નીકળતા હોય છે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી તેમજ કેટલાક વેપારીઓ નિયત સમયમર્યાદા કરતા વધુ વેપાર ધંધા ચાલુ રાખતા હોય છે. જેની સામે પોલીસ તંત્રએ લાલ આંખ કરી છે. અને ગઈકાલે સમગ્ર જિલ્લામાં 38 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
જામનગર શહેર અને જુદા જુદા તાલુકા મથકોમાં જે વેપારીઓ પોતાના વેપાર-ધંધા મોડે સુધી ખુલ્લા રાખતા હોય છે તેવા 22થી વેપારીઓ સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ ગુના નોંધવામાં આવ્યા છે.
ઉપરાંત વિના કારણે ઘરથી બહાર નીકળનારા લોકો સામે પણ પગલાં ભરવામાં આવી રહ્યા છે અને એક ડઝનથી વધુ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. સિક્કા વિસ્તારમાંથી કારમાં વધુ પેસેન્જર ભરવા અંગે તેમજ માસ્ક નહિ પહેરવા અંગે બે ઇકો કારચાલકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. સમગ્ર દિવસ દરમિયાન ફુલ 38 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.