જામનગર જિલ્લામાં લોક ડાઉનના ભંગ અંગેની વધુ 33 ફરિયાદ: 22ની અટકાયત
- જામનગરમાં જિલ્લાના કાલાવડમા તમાકુના ડબલા લઇને નીકળેલો વેપારી પકડાયો
જામનગર, તા.26 એપ્રિલ 2020, રવિવાર
જામનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા લોક ડાઉનની અમલવારી કરાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગઇકાલે લોક ડાઉનનો ભંગ કરનારા અને વિના કારણે ઘરમાંથી બહાર નીકળનારા લોકો સામે વધુ 33 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. જે પૈકી 22 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બાકીને નોટીસ આપી જવા દેવાયા છે.
જામનગર શહેરમાં જુદા-જુદા પોઇન્ટ પર પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરી ડબલ સવારીમાં નીકળેલા અથવા ટ્રાફીક નિયમનનો ભંગ કરનારા 125થી વધુ વાહનચાલકોના વાહનો ડિટેઇન કરી લેવામાં આવ્યા છે.
કાલાવડના ભગવતીપરા વિસ્તારમાં રહેતો એક વેપારી મેહુલભાઈ બચુભાઈ પટેલ ગઈકાલે પોતાના મોટર સાયકલમાં ચૂનાના 40 કિલો પાર્સલો ઉપરાંત 15 બાગબાન તમાકુના ડબલા લઈને નીકળતા પોલીસે તેને પકડી પાડયો છે. અને ચૂનો અને તમાકુનો જથ્થો તેમજ મોટરસાયકલ સહિત રૂપિયા અડધા લાખની માલમતા કબજે કરી લઈ વેપારીની ધરપકડ કરી છે. જેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.