જામનગર જિલ્લામાં જાહેરનામા ભંગ અંગેની વધુ 32 ફરિયાદ દાખલ કરાઇ: 53 લોકોની અટકાયત
જામનગર, તા. 16 મે 2020, શનિવાર
જામનગર જિલ્લામાં લોક ડાઉન -૩ની અમલવારીને પૂરી થવાને માત્ર બે દિવસ બાકી છે. પરંતુ લોકો વિના કારણે ઘરની બહાર નીકળી લોક ડાઉનના નિયમોનું પાલન કરતા નથી જેથી પોલીસ તંત્ર દ્વારા ગઈકાલે વધુ 32 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. જે પૈકી 3 લોકોની અટકાયત કરી લેવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 2083 એફઆઈઆર દાખલ થઇ છે, અને 1,621 લોકોની અટકાયત કરવામાં આવી છે.
જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન લોક ડાઉનનો ભંગ કરનારા લોકો સામે કુલ 32 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. જેમાં ડ્રોન કેમેરાની મદદથી 15થી વધુ શખ્સો બહાર નીકળેલા મળી આવ્યા હતા. સમયમર્યાદા કરતાં દુકાનો ખુલી રાખનાર 6 વેપારીઓ દંડાયા છે. ઉપરાંત આવશ્યક ચીજવસ્તુઓ સિવાય અન્ય દુકાનો ખોલનારા 2 વેપારીઓ સામે ફરિયાદ કરાઇ છે. સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનારા રેકડી ચાલકો સામે પણ ગુન્હા નોંધવામાં આવ્યા છે.
જામનગર શહેર અને જિલ્લામાં જાહેરનામાનો ભંગ કરનારા 53 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા 53 દિવસના લોક ડાઉનના સમયગાળા દરમિયાન કુલ 2083 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. જે પૈકી અત્યાર સુધીમાં 1,621 લોકોને ધરપકડ કરી લેવામાં આવી છે.