જામનગર જિલ્લામાં લોક ડાઉનના પ્રથમ બે તબક્કામાં 1,750 એફઆઈઆર દાખલ કરાઈ: 1,277ની અટકાયત
જામનગર, તા. 4 મે 2020 સોમવાર
જામનગર શહેર અને જિલ્લામાં લોક ડાઉન-1 અને લોક ડાઉન-2 ના સમયગાળા દરમિયાન પોલીસ તંત્ર દ્વારા લોક ડાઉન નો ભંગ કરનારા અને વિના કારણે ઘરથી બહાર નીકળનારા લોકો સામે 1,750 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જેમાં 1,277 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે લોક ડાઉન ટુ ના અંતિમ દિવસે પણ 35 એફઆઈઆર દાખલ કરાઇ હતી.
જામનગર શહેર અને જિલ્લામાં ગત 22 માર્ચથી લોક ડાઉનની અમલવારી ચાલી રહી છે ત્યારે લોક ડાઉન એક અને લોક ડાઉન 2 ના સમયગાળા દરમિયાન તારીખ 3.5.2020 સુધીના સમયગાળા દરમિયાન સમગ્ર જિલ્લાના લોક ડાઉનનો ભંગ કરી બહાર નીકળનારા લોકો સામે અત્યાર સુધીમાં 1,750 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. જેમાં કલમ 188 ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, હંગામા મચાવવા અંગેની કલમ તેમજ એપીડેમીક ડીસીઝ એક્ટ સહિતની કલમ હેઠળનાં ગુનાઓનો સમાવેશ થાય છે. જેમાં અત્યાર સુધીમાં 1,277 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.
ગઈકાલે લોક ડાઉન -2ના અંતિમ દિવસે એટલેકે તારીખ 3.5.2020 ના દિવસે વિના કારણે ઘરથી બહાર નીકળનારા લોકો સામે 35 એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી, જે પૈકી 25 લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી.
જામનગર શહેર અને જિલ્લામાં આજે લોક ડાઉન -3 નો અમલ શરૂ થઇ ગયો છે પરંતુ જામનગર જિલ્લાને ગ્રીન ઝોનમાં સમાવી લીધો હોવાથી વહેલી સવારે સાત વાગ્યાથી કેટલીક છુટછાટો જાહેર કરવામાં આવી છે. પરંતુ પોલીસ તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેનું ધ્યાન રાખીને અમલવારી કરાવવામાં આવી રહી છે.