મોસ્કો,૪ ડિસેમ્બર,૨૦૨૫,ગુરુવાર
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ૪ વર્ષ પછી ભારતની મુલાકાતે આવ્યા છે. બે દિવસના સત્તાવાર પ્રવાસ અને ઉષ્માભર્યા સ્વાગત માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. પુતિન માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ડિનરપાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ એક રિપોર્ટ અનુસાર પુતિન વિદેશ જાય છે ત્યારે પોતાની સાથે ફૂડ કોન્વોય લઇને જાય છે. આથી ભારત જ નહી જયાં પણ જાય ત્યાં કોઇ પણ દેશના શેફના હાથે રાંધેલું ખાતા નથી. આથી રશિયન ટ્વોરોગ, રશિયન આઇસક્રિમ, રશિયન મધ અને રશિયન બોટલબંધ પાણીથી ભરેલું એક અલગ કંપાર્ટમેન્ટ હોય છે. ૨૦૧૪માં તેઓએ ભારતની મુલાકાત લીધી ત્યારે મુંબઇની તાજ હોટલમાં એક સમગ્ર ફલોર પર રશિયાની ફેડરલ પ્રોટેકિટવ સર્વિસ (એફએસઓ)એ કબ્જો કરી લીધો હતો.
હોટલના કિચેનમાંથી તમામ ભારતીય મસાલાઓને હટાવી દીધા હતા. ગોવામાં વર્ષ ૨૦૧૮માં ભારત -રશિયા સમિટ દરમિયાન રશિયન શેફે હૈદરાબાદ કિચનની અંદર પોતાનો સ્ટવ લગાવ્યો હતો. ૬ ઓકટોબર ૨૦૧૮ના રોજ ધ હિંદુના અહેવાલ અનુસાર રાષ્ટ્રપતિ ભવનમાં બિરયાની અને ગલૌટી કબાબ બનાવાયા હતા પરંતુ પુતિને માત્રે પોતાનું રશિયન સલાદ અને ટ્વોરોગ જ આરોગ્યું હતું. ૨૦૨૨માં સમરકંદમાં એસસીઓ સમિટ પછી ઉઝબેકિસ્તાનના પ્રેસિડેન્ટ મિર્જીયોયેવે પુતિનને ટ્રેડિશનલ પ્લોવ સર્વ કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ આરોગવાની ના પાડી દીધી હતી.ક્રેમલિને સ્પષ્ટતા કરી હતી કે પ્રેસિડેન્ટ પાસે સ્પેશિયલ ફૂડ અને સિકયોરિટી પ્રોટોકલ હોય છે. આ પ્રોટોકોલ મુજબ માત્ર પોતાના દેશની પ્રોડકટનો જ ઉપયોગ કરીએ છીએ.
પ્રાપ્ત માહિતી અનુસાર એફએસઓના પૂર્વ અધિકારી અને હવે જર્નાલિસ્ટ આંદ્રેઇ સોલાતોવે પોતાના પુસ્તક ધ ન્યૂ નોબિલિટીમાં લખ્યું હતું કે ૨૦૦૧માં પુતિનના દરેક વિદેશ પ્રવાસ દરમિયાન એક પોર્ટેબલ ફૂડ લેબોરેટરી સાથે રહેતી હતી. આ લેબ સ્પેકટ્રોમીટર અને કેમિકલ એનાલિસિસથી દરેક ફૂડ ડિશનો ટેસ્ટ કરતી હતી ૨૦૧૭માં ફ્રાંસના વર્સેલ્સ પેલેસમાં પણ આવું જ થયું હતું. ફેંચ શેફસ ક્રોઇસૈન્ટ અને ફોઇ ગ્રાસ બનાવ્યું હતું પરંતુ પુતિન માત્ર પોતાનું ખાટુ સૂપ અને ટ્વોરોગ આરોગ્યું હતું. પુતિનની સિકયોરિટી ટીમ કોઇ પણ બીજા દેશ કે તેના શેફસ પર ભરોસો કરતી નથી. રશિયા ટુડેની એક રિપોર્ટ અનુસાર પુતિનનું ફૂડ મોસ્કોની બહાર એક ખાસ ફાર્મથી આવે છે, જયાં દૂધ દેવાવાળી ગાયો પર પણ ચોવિસ કલાક નજર રાખવામાં આવે છે.


