શિકાગોમાં લોકો તળાવ કાંઠે બૂમો પાડવા કેમ એકઠા થાય છે ?

શિકાગો,29 ઓકટોબર,2025,બુધવાર
શિકાગોમાં તણાવ દૂર કરવા માટે મિશિગન ઝીલ પાસે એકઠા થઇને ઉંચા અવાજે બુમો પાડે છે. આ પહેલ ઉનાળામાં સ્કીમ નામની કલબ દ્વારા શરુ કરવામાં આવી હતી જે લોકપ્રિય થઇ રહી છે. વધુને વધુ લોકો તણાવ દૂર કરવા માટેનો રસ્તો શોધી રહયા છે ત્યારે આ એક નવો જ તરીકો છે. આ સમૂહ દર રવિવારે બૂમો પાડવા સાંજે ૭ વાગે નોર્થ એવન્યુ બીચ ઘાટ પર મળે છે. આ ગુ્પની શરુઆત મેની હર્નાડે કરી હતી જે એક બ્રીથવર્ક કોચ છે જે તણાવમાંથી દૂર કરવાના વિકલ્પો બતાવે છે.
સોશિયલ મીડિયામાં બૂમો પાડવા માટે લોકોને આમંત્રણ આપવામાં આવે છે. આ અનોખી બ્રીથવર્કમાં ૧૦૦થી વધુ લોકો એકઠા થાય છે. આ પ્રવૃતિની સ્વૈચ્છિક શરુઆત પાંચ લોકોથી થઇ હતી. માણસ પોતાની અંદરના તણાવને દૂર કરવા માટે બૂમો પાડે તો પાગલ સમજવા લાગે છે. રહેણાંક વિસ્તારમાં ઘરે બેઠા આ પ્રવૃતિ કરે તો પાડોશી ડરી જાય છે આથી તળાવના એકાંતવાળા સ્થળની પસંદગી કરી છે. શ્વાસ લેવાની સાચી અને સારી ટેકનિક શિખવવામાં આવે છે જેથી શરીર અને મન હળવાશનો અનુભવ કરે છે.

શરુઆત પાંચ વાર નાકમાંથી શ્વાસ લેવામાં આવે છે. ચાર સેકન્ડ માટે અંદર લઇને ચાર સેકન્ડ માટે બહાર જવા દેવામાં આવે છે. ત્યાર બાદ એક નાના બાાયોડિગ્રેબલ કાગળ આપવામાં આવે છે જેના પર અઠવાડિયા દરમિયાન થયેલા ખરાબ અનુભવો લખીને તેને ભૂલી જવાના ઇરાદા સાથે પાણીમાં ફેંકે છે. લખાણના કાગળને પાણીમાં ફેંકવામાં આવે ત્યારે જોરશોરથી બૂમો પડવા લાગે છે, કેટલાકની આંખોમાં આંસુ પણ આવી જાય છે.
એક સાથે બધા બૂમો પાડતા હોવાથી પ્રચંડ ધ્વની નિકળે છે તેમ છતાં અસહજ અનુભવ થતો નથી. કેટલાકને બૂમો પડે છે એમાં પણ સંગીત સાંભળતા હોય તેવી અનૂભૂતિ થાય છે.જીવનશૈલીમાંથી પેદા થતા તણાવને દબાવવા કરતા સકારાત્મક ઉર્જા સ્વરુપે બહાર લાવવો એ એક સારો વિકલ્પ છે. આનાથી લાગણીઓ પર નિયંત્રણ આવે છે. લોકો પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું હોવાનું અનુભવે છે. .

યુવાઓ અને વૃધ્ધો સૌ પોતાને થયેલા અનુભવો અને સંઘર્ષની વાત કરીને એક બીજાની નજીક આવે છે. આ તાલીમ માટે કોઇ પણ ફી લેવામાં આવતી નથી. સાઉટીંગથી તણાવ ઓછો કરવાની રીત આમ તો નવી નથી. ૧૯૭૦ના દાયકામાં પૂર્વ બિટલ્સ ગાયક જોન લેનને અને અન્ય મશહૂર હસ્તીઓએ લૉસ એન્જેલસમાં મનોવૈજ્ઞાાનિક આર્થર જાનોવના નિર્દેશનમાં પ્રાઇમલ સ્ક્રીમ થેરાપી લીધી હતી. જાનોવનો સિધ્ધાંત હતો કે બાળપણમાં દબાયેલા કોઇ દર્દથી ન્યૂરોસિસ થવાની શકયતા રહે છે અને રચનાત્મકતામાં અવરોધ પેદા કરે છે. જાનોવે શિખવ્યું હતું કે દર્દમાંથી મુકિત માટે ચીખો નાખવી જરુરી છે.








