સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરનો 8 દિવસનો અંતરિક્ષ પ્રવાસ 9 મહિના સુધી કેમ લંબાયો ?
Sunita Williams and NASA News : પૃથ્વી પરના કોઇ સ્થળે થોડાક કલાકો માટે ગયા હોઇએ અને દિવસોના દિવસો રહેવું પડે તો કેવું લાગે ? જયારે સ્પેસ એસ્ટ્રોનટ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વીથી 400 કિમી દૂર સ્પેસ સ્ટેશનમાં માત્ર 8 દિવસ માટે ગયા હતા. તેના સ્થાને 9 મહિના રોકાવું પડયું હતું. અમેરિકી સ્પેસ એજન્સી નાસાના જણાવ્યા અનુસાર બંને અવકાશયાત્રીઓને પૃથ્વી પર લાવવામાં આવી રહયા છે. યાન 17 કલાકનો પ્રવાસ કરીને ફલોરિકા પહોંચી ગયું છે. આ સાથે જ 286 દિવસ પછી બંને અંતરિક્ષયાત્રીઓના નસીબે પૃથ્વી પર કદમ મંડાયા છે.
19 સપ્ટેમ્બર 2024ના રોજ સુનીતા વિલિયમ્સે સ્પેસ સ્ટેશનમાં પોતાનો 59મો જન્મ દિવસ ઉજવ્યો હતો. 29 ડિસેમ્બરે વિલમોરે પણ પૃથ્વીની બહાર પોતાનો જન્મ દિવસ મનાવ્યો હતો. સુનિતા વિલિયમ્સને પુછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે પોતાના પરિવાર અને બે ડૉગને ખૂબ મીસ કરી રહી છે. બંને અવકાશયાત્રીઓને નાસાના હ્વસ્ટનમાં આવેલા જોનસન સ્પેસ સેન્ટર લઇ જવામાં આવશે. અહીંયા દિવસો સુધી તેમના સ્વાસ્થ્યનું પરિક્ષણ કરવામાં આવશે. નાસાની લીલી ઝંડી પછી જ પરત આવેલા અંતરિક્ષયાત્રીઓ પોતાના પરિવાર પાસે જઇ શકશે.
સ્પેસએકસના ક્રુ 9 પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કર્યા પછી સમુદ્રમાં પેરાશૂટની મદદથી લેન્ડિંગ કર્યું હતું. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 5 જુન 2024ના રોજ અમેરિકી એરોસ્પેસ કંપની બોઇંગના સ્ટારલાઇનર સ્પેસક્રાફટમાં બેસીને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન જવા રવાના થયા હતા. તેઓ સ્પેસ સ્ટેશનમાં તો પહોંચી ગયા પરંતુ યાનમાં હીલિયમ ગેસનું ગળતર શરું થયું હતું.
આ ઉપરાંત દિશાનું નિયંત્રણ કરતું એક થ્રસ્ટર પણ ટેકનીકલ ક્ષતી ઉભી થઇ હતી. યાન આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પાસે પહોંચ્યું ત્યારે સ્ટેશન સાથે જોડવામાં એટલે કે ડોક કરવામાં પણ મુશ્કેલીનો અનુભવ થતો હતો. નાસાના જણાવ્યા અનુસાર ક્રુ-9 અભિયાન હેઠળ વિલિયમ્સ અને વિલમોરે માત્ર 8 દિવસ જ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં રોકાવાનું હતું.
યાનના ડોકિગ દરમિયાન એન્જિનિયરોએ યાનના પાંચમાંથી 4 થ્રસ્ટને રીપેર પણ કર્યા હતા પરંતુ નાસાએ યાનમાં માણસોને બેસાડીને પૃથ્વી પર આવવાને જોખમી ગણાવ્યું હતું. આથી સ્ટાર લાઇનરનું સ્પેસક્રાફટ અંતરિક્ષયાત્રીઓને લીધા વિના જ પાછુ આવી ગયું હતું. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરે હવે સ્પેસમાં રહયા વિના કોઇ ઉપાય ન હતો.
તેમને લેવા માટે ક્રુ ડ્રેગન -9 29 સપ્ટેમ્બર 2024ના રોજ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર ડોક કરવામાં આવ્યું હતું જો કે રિસર્ચ કાર્ય પ્રભાવિત ના થાય તે માટે બંને અવકાશયાત્રીઓ રોકાય તેવો નિર્ણય લેવામાં આવ્યો. પરિસ્થિતિ એવી હતી કે જો બંનેને પાછા લાવવામાં આવે તો સ્પેસ સ્ટેશન પર માત્ર એક જ અવકાશયાત્રી રહેતો હતો. આથી બંને અવકાશયાત્રીઓનો રોકાણનો ગાળો લંબાઇ ગયો હતો.