ઇઝરાયલ-ઈરાન વચ્ચે પાકિસ્તાન કેમ ધ્રુજી ઉઠ્યું? કહ્યું- અમે બરબાદ થઈ જઈશું
Israel-Iran War: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ઇઝરાયલ દ્વારા ઈરાનના પરમાણુ અને લશ્કરી ઠેકાણાઓનો ખાતમો કરવામાં આવ્યો છે, ત્યારે ઈરાને પણ જવાબી હુમલા શરુ કરી દીધા હતા. ઇઝરાયલનો હેતુ તેહરાનના વધતાં પરમાણુ કાર્યક્રમને રોકવાનો હતો. પરંતુ હવે ઇઝરાયલે સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહી ચાલુ રહેશે. આનાથી પાકિસ્તાનમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે, જો ઇઝરાયલ આ રીતે બેલગામ રહેશે તો માત્ર ઈરાન જ નહીં પણ અમે પણ અમે બરબાદ થઈ જઈશું'
પાકિસ્તાનમાં ડરનો માહોલ
પાકિસ્તાની સંસદમાં ખ્વાજા આસિફે કહ્યું કે, 'ઇઝરાયલે ઈરાન, યમન અને પેલેસ્ટાઇન પર હુમલો કર્યો છે. જો મુસ્લિમ દેશો હવે એક નહીં થાય, તો દરેક દેશને આ જ પરિણામ ભોગવવું પડશે. આ મુશ્કેલ સમયમાં આપણે દરેક રીતે ઈરાન સાથે ઊભા છીએ. તે અમારા ભાઈઓ છે, તેમનું દુ:ખ આપણું દુ:ખ છે.' આ ઉપરાંત તેમણે ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કોઓપરેશન(OIC)ને એક બેઠક બોલાવવા અને ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો ધરાવતા મુસ્લિમ દેશો સાથેના સંબંધો તોડવા અપીલ કરી હતી.
આ પણ વાંચો: ડૉક્ટર બનવા આવ્યા હતા, હવે જીવિત પાછા જઈએ એ જ બહુ: ઈરાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની વેદના
ઈરાનના આ દાવાને પાકિસ્તાને નકાર્યા
બીજી તરફ ઈરાને આ યુદ્ધમાં પાકિસ્તાનનું નામ પણ લીધું છે. ઈરાને દાવો કર્યો કે, 'જો ઇઝરાયલ ઈરાન પર પરમાણુ હુમલો કરશે, તો પાકિસ્તાન તરત જ જવાબ આપશે અને પરમાણુ બોમ્બ ફેંકશે.' ઇરાનના આ દાવા પછી પાકિસ્તાન ડરી ગયું છે. તેમણે ઈરાની દાવાને નકારી કાઢતાં કહ્યું કે, 'ઇસ્લામાબાદ તરફથી પરમાણુ હુમલાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.'
ઈરાનનો દાવો શું છે?
ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ(IRGC)ના વરિષ્ઠ કમાન્ડર અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સભ્ય જનરલ મોહસેન રેઝાઈએ જણાવ્યું હતું કે પાકિસ્તાને અમને કહ્યું છે કે, 'જો ઈરાન પર પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવામાં આવશે, તો પાકિસ્તાન પણ ઇઝરાયલ પર પરમાણુ બોમ્બથી હુમલો કરશે.'