World

ઇરાન યુધ્ધના પગલે દુબઇમાં લોકોએ પાલતું પ્રાણીઓને કેમ રખડતા મુકયા ?

By GS TEAM
10 Mar 20262 mins read
ઇરાન યુધ્ધના પગલે દુબઇમાં લોકોએ  પાલતું પ્રાણીઓને કેમ રખડતા મુકયા ?

લંડન,૧૦ માર્ચ,૨૦૨૬,મંગળવાર 

ઇરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં ખાડી દેશોની પરિસ્થિતિ વિકટ બની છે. યુએઇ, ઓમાન,બહેરીન અને કુવૈતમાં યુએસના આર્મી બેઝ પર ઇરાન મિસાઇલ હુમલો કરીને અફરા કફરી મચાવે છે. ઇરાનની કેટલીક મિસાઇલો અને ડ્રોન  નિશાન ચુકીને કોમર્શિયલ વિસ્તારમાં પણ ફાટે છે. યુએઇના દુબઇ શહેરની વાત કરીએ તો સૌથી પરેશાન જોવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર  દુબઇમાં ઇરાની હુમલા પછી ગભરાઇ ગયા છે. પોતાના પાલતું ડૉગ અને કેટને રસ્તા પર ભગવાન ભરોસે છોડી રહયા છે.

ઇરાન યુધ્ધ ને પાલતું પ્રાણીઓ રખડતા મુકવા સાથે શું કનેકશન છે તે સમજવા જેવું છે. ડેલી સ્ટારના અહેવાલ અનુસાર લોકો હતાશ થઇને પશુ ચિકિત્સકોને પોતાના પાલતુ પશુઓને ઇચ્છા મુત્યુની પણ વિનંતી કરે છે. અનેક એનિમલ વેલફેર સેન્ટરમાં મરવા માટે મુકવામાં આવેલા પશુઓની સંખ્યા ખૂબ વધી રહી છે. સોશિયલ મીડિયામાં અત્યંત ચિંતા પ્રેરે તેવા ફોટા વાયરલ થયા છે જેમાં ડોગ્સને થાંભલા સાથે બાંધીને ખોરાક-પાણી માટે છોડી દેવાયા છે. ધ બાર્કિગ લૉટ નામની એક સંસ્થાના કાર્યકરે પણ આ વાતની પુષ્ટિ કરી છે. જો કે તેના મૂળમાં દુબઇમાં પશુઓને સ્થળાંતરિત કરવામાં ડોક્યુમેન્ટસની કડાકૂટ જવાબદાર છે. ખાસ કરીને યુધ્ધના પગલે દેશ છોડવાનું વિચારી રહેલા વિદેશીઓ પાલતું પ્રાણીઓને રેગિસ્તાનમાં ભગવાન ભરોસે છોડી દે છે.

મિડલ ઇસ્ટમાં હાલમાં હજારો બ્રિટિશ નાગરિકો ફસાયેલા છે જેમાંથી ૧ લાખ જેટલા લોકોએ એકઝિટ માટે વિદેશ મંત્રાલયને અરજી કરી છે જેની વિગતમાં પોતાની સાથેના પાલતું પ્રાણીઓનો કોઇ જ ઉલ્લેખ નથી. સંભવત આ બ્રિટિશ મૂળના નાગરિકો પરિવાર સાથે બોરિયા બિસ્તર બાંધી રહયા છે પરંતુ પેટસને સાથે રાખવાનું ટાળે છે. સ્થાનિક ડૉગ રિહાઉસિંગ સમૂહ કે ૯ ફ્રેન્ડસના જણાવ્યા મુજબ પાલતું જાનવર છોડી રહેલા માલિકોની વધતી જતી સંખ્યાથી પરેશાન છે. દુબઇ સહિત સમગ્ર મીડલ ઇસ્ટમાં ઇરાન અને ઇઝરાયેલ દ્વારા સતત મિસાઇલ અને ડ્રોન હુમલા જોતા સમગ્ર ક્ષેત્રમાં આવન જાવન ઠપ્પ છે.