'કરાર પછી કરીશું પહેલા 1971ના નરસંહાર બદલ માફી માગો..', બાંગ્લાદેશે પાકિસ્તાનની ફજેતી કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pakistan and Bangladesh News : દક્ષિણ એશિયામાં એકલા પડી ગયેલા પાકિસ્તાનને હવે બાંગ્લાદેશે પણ જોરદાર ઝટકો આપ્યો છે. બાંગ્લાદેશ સાથે દોસ્તી વધારવા માગતા પાકિસ્તાન સામે બાંગ્લાદેશે સ્પષ્ટ કરી દીધું છે કે કોઈ પણ પ્રકારની સમજૂતી પહેલા 1971ના નરસંહાર બદલ પાકિસ્તાને લેખિતમાં માફી માગવી જોઈએ.
કોણે કરી આવી માગણી?
બાંગ્લાદેશે પાકિસ્તાનને આ મામલે ઔપચારિક માફી માગવા કહ્યું છે. આ માગણી બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહિદ હુસૈને રવિવારે ઢાકામાં યોજાયેલી એક દ્વિપક્ષીય બેઠકમાં પાકિસ્તાનના ડેપ્યુટી પીએમ અને વિદેશમંત્રી ઈશાક ડાર સમક્ષ રજૂ કરી હતી.
બાંગ્લાદેશે શું કહ્યું?
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે બેઠક બાદ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "1971માં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા નરસંહાર માટે ઔપચારિક માફી, સંપત્તિનું વિભાજન, 1970ના ચક્રવાતના પીડિતો માટે આપવામાં આવેલી વિદેશી સહાયનું ટ્રાન્સફર અને ફસાયેલા પાકિસ્તાનીઓને સ્વદેશ પરત મોકલવા જેવા લાંબા સમયથી પડતર ઐતિહાસિક મુદ્દાઓનો ટૂંક સમયમાં ઉકેલ લાવવાની જરૂર છે. આ મુદ્દાના ઉકેલ દ્વારા જ બંને દેશો વચ્ચે મજબૂત સંબંધોનો પાયો નંખાઈ શકે છે."
પાકિસ્તાનના વિદેશ મંત્રીની બાંગ્લાદેશ મુલાકાત
પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડાર 23 થી 24 ઓગસ્ટ સુધી બાંગ્લાદેશની બે દિવસીય સત્તાવાર મુલાકાતે હતા. આ મુલાકાત બાંગ્લાદેશના વિદેશ સલાહકારના આમંત્રણ પર થઈ હતી. આ દરમિયાન, ડારે બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસને પણ મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન બંને દેશોએ દ્વિપક્ષીય કરાર અને પાંચ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા. હસ્તાક્ષર સમારોહ રવિવારે બપોરે ઢાકામાં યોજાયો હતો, જેમાં બાંગ્લાદેશના વિદેશ સલાહકાર મોહમ્મદ તૌહિદ હુસૈન અને પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર હાજર હતા.









