World

ઈથોપિયામાં જવાળામુખી વિસ્ફોટ ભારત સુધી પહોંચ્યાં રાખ, ધૂમાડા : હવે ચીન તરફ જશે

By GS TEAM
25 Nov 20252 mins read
ઈથોપિયામાં જવાળામુખી વિસ્ફોટ ભારત સુધી પહોંચ્યાં રાખ, ધૂમાડા : હવે ચીન તરફ જશે

- રાખનાં વાદળ 14 કિ.મી. ઊંચાઈએ પહોંચ્યાં : તેને લીધે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીથી થતાં ઊંડાણો પ્રભાવિત થયાં

એડીસ અબાબા, નવી દિલ્હી : ઈથોપિયાનો હેલી-ગુબ્બી જવાળામુખી ૧૨૦૦૦ વર્ષ પછી અચાનક પ્રચંડ વિસ્ફોટ સાથે ફાટી નીકળ્યો. તે એટલો પ્રચંડ વિસ્ફોટ હતો કે તેથી નીકળેલો રાખનો ગુબ્બારો ૧૪ કી.મી.ની ઉંચાઈ સુધી પહોંચ્યો હતો, અને મોસમી પવનોના આધારે તે અરેબિયન પેતિન્શ્યુલા ઉપર થઈ ભારત પર સાંજના ૭-૩૦ સુધીમાં પહોંચી ગયો અને ગુજરાત, હરિયાણા, દિલ્હી, એન.સી.આર (નેશનલ કેપિટલ રીજીયન) ઉપર થઈ પંજાબ ઉપર થઈ હવે તિબેટ (ચીન) તરફ આગળ વધશે.

આ માહિતી આપતાં આઈ.એમ.ડી.ના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું હતું કે, સાંજના સાડા સાત સુધીમાં તો તે ધૂમાડા અને રાખના ગોટા ભારત ઉપરથી ચાલ્યા જશે અને તિબેટ તથા ચીન તરફ આગળ વધશે.

ઈથોપિયાના અફાર ક્ષેત્રમાં આવેલો આ જ્વાળામુખી વર્ષો સુધી સુષુપ્ત જ હતો, તે અચાનક ફાટી નીકળ્યો છે.

મહાપાત્રએ કહ્યું કે આપણા ઉપગ્રહો તેની તસવીરો સતત મોકલી રહ્યાં છે, ભારતમાંથી વિશેષત: અમદાવાદ, જયપુર, દિલ્હી અને ચંડીગઢમાંથી ઉપડતી એર ઈંડિયાની ફલાઈટ એ.આઈ ૨૮૨૨ (મુંબઈ-ચેન્નાઈ) એ.આઈ ૨૪૬૬ (હૈદરાબાદ-દિલ્હી, એ.આઈ. ૨૪૪૪/૨૪૪૫ (મુંબઈ-હૈદરાબાદ-મુંબઈ) એ.આઈ. ૨૪૭૧/૨૪૭૨ (મુંબઈ-કોલકત્તા-મુંબઈ) રદ કરી છે. એર ઈંડિયા ઉપરાંત, એર ઈંડીયા-એક્સપ્રેસ, સ્પાઈસ જેટ અને 'આકાશ-એર' તરફથી કોઈ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ તેમણે પણ ફલાઇટસ કેન્સલ કરવી પડી હશે જ જે સહજ છે.

આ ઘટના દૂરથી જોનારાએ કહ્યું કે ધડાકો એટમ-બોમ્બ વિસ્ફોટ જેવો હતો.