Vladimir Putin Message to Pakistan: રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન બે દિવસની ભારત યાત્રા બાદ સ્વદેશ પરત ફર્યા છે. તેમની આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે અનેક મહત્ત્વપૂર્ણ કરારો થયા છે. આ ઉપરાંત, બંને દેશોએ આતંકવાદ, આર્થિક પડકારો અને સાંસ્કૃતિક વારસાની જાળવણી માટેની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે.
પાકિસ્તાનને પુતિન મેસેજ
સ્વદેશ રવાના થતા પહેલા પુતિને પાકિસ્તાનને આડકતરો સંકેત આપતા અફઘાનિસ્તાનની તાલિબાની સરકાર અંગે મોટું નિવેદન આપ્યું છે. પુતિને કહ્યું કે, 'અફઘાનિસ્તાનની તાલિબાની સરકાર આતંકવાદ સામે મોરચો ખોલી ચૂકી છે અને તે અફીણના ઉત્પાદનને ખતમ કરવા માટે મોટું કામ કરી રહી છે.
આ જ કારણોસર રશિયાએ તાલિબાન સરકારને માન્યતા આપી
મીડિયા રિપોર્ટ મુજબ, પુતિને સ્વીકાર્યું કે દરેક દેશમાં સમસ્યાઓ હોય છે અને દાયકાઓ સુધી ગૃહ યુદ્ધનો સામનો કરનાર અફઘાનિસ્તાન પણ અલગ નથી. જોકે, તેમણે કહ્યું, 'તાલિબાને અફઘાનિસ્તાનને સંભાળી લીધું છે અને આ સત્ય તમારે સ્વીકારવું પડશે.' તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, 'અફઘાન સરકારે આતંકવાદ સામે લડવા અને અફીણના ઉત્પાદન પર રોક લગાવવા માટે મોટા પગલાં લીધા છે.'
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અફઘાનિસ્તાન પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવતું રહ્યું છે, જેના કારણે છેલ્લા કેટલાક મહિનાથી બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમા પર છે. રશિયા તાલિબાન સરકારને માન્યતા આપનાર પ્રથમ દેશ બન્યું છે.
ભારતમાં 'RT India'નું ઉદ્ઘાટન
પુતિને તેમની મુલાકાત દરમિયાન ભારતમાં રશિયાના સરકારી ટેલિવિઝન નેટવર્ક 'આરટી ઈન્ડિયા' (RT India)નું પણ શુભારંભ કર્યું. આ પ્રસંગે તેમણે સંબોધન કરતા કહ્યું કે, 'ભારતની અર્થવ્યવસ્થા બદલાઈ ગઈ છે, એક ભાગીદાર તરીકે ભારતની ક્ષમતાઓ બદલાઈ ગઈ છે. પરંતુ એક વસ્તુ હજુ પણ બાકી છે, મિત્રતા અને પરસ્પર સહયોગના વિકાસમાં બંને દેશોનો રસ.'
તેમણે 'આરટી'ને માહિતીનો એકદમ 'સ્વચ્છ સ્ત્રોત' ગણાવ્યો, જેનો હેતુ માત્ર રશિયાના મૂલ્યો કે વિદેશ નીતિનો પ્રચાર કરવાનો નથી, પરંતુ રશિયા અને વિશ્વ વિશે 'સાચી માહિતી' પ્રદાન કરવાનો છે. આ મામલે પુતિને કહ્યું કે, 'કેટલાક દેશોમાં આરટીને બંધ કરવાની કાર્યવાહી ટેકનિકલ કારણોથી નહીં, પરંતુ સત્યના ડરથી કરવામાં આવે છે.


