અમેરિકા-ઈરાન વચ્ચે ફરી મંત્રણાની તૈયારી! વિદેશ મંત્રી અરાઘચી ઈસ્લામાબાદ જવા રવાના, USએ જુઓ શું કહ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US-Iran Peace Talks in Islamabad : અમેરિકા-ઈરાનના યુદ્ધવિરામ વચ્ચે હવે ઈસ્લામાબાદમાં ફરી શાંતિ મંત્રણા યોજાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ માટે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી આજે મોડી રાત્રે ઈસ્લામાબાદ પહોંચવાના છે. અરાઘચી પાકિસ્તાનની મુલાકાત બાદ ઓમાન અને રશિયા પણ જવાના છે. આ વિદેશ પ્રવાસમાં દ્વિપક્ષીય મુદ્દાઓ, ઈરાન વિરુદ્ધ અમેરિકા-ઈઝરાયલની તાજેતરની સ્થિતિ પર ચર્ચા થવાની સંભાવના છે.
અરાઘચી ત્રણ દેશોના પ્રવાસે રવાના
ઈરાનના વિદેશ મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને આ વિદેશ પ્રવાસની માહિતી આપી છે. તેમણએ લખ્યું છે કે, ‘હું પાકિસ્તાનના ઈસ્લામાબાદ, ઓમાનના મસ્કત અને રશિયાના મૉસ્કોની મુલાકાત કરવા માટે રવાના થઈ રહ્યો છું. મારા પ્રવાસનો હેતુ, અમારા દેશના ભાગીદારો સાથે ગાઢ સંકલન સાધવા અને તાજેતરના યુદ્ધવિવાદ પર વાતચીત કરવાનો છે.’ તેમણે ટ્વીટના અંતે લખ્યું છે કે, ‘અમારા પડોશી અમારી પહેલી પ્રાથમિકતા છે.’
ઈસ્લામાબાદમાં ફરી શાંતિ મંત્રણા યોજાવાની સંભાવના
ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNAએ અરાઘચી ત્રણ દેશોના પ્રવાસે જવાના હોવાની માહિતી આપી છે. મીડિયા રિપોર્ટ મુજબ, ઈરાનનું એક પ્રતિનિધિમંડળ ઈસ્લામાબાદ પહોંચી ગયું છે, જેઓ અમેરિકા સાથે બીજા તબક્કાની યોજાનારી શાંતિ મંત્રણા ભાગ લે તેવી આશા વ્યક્ત કરાઈ છે. ઈરાનના વિદેશમંત્રી નાના પ્રતિનિધિમંડળ સાથે ઈસ્લામબાદા પહોચી શકે છે. રિપોર્ટ મુજબ, અમેરિકાની એક લોજિસ્ટિક્સ અને સુરક્ષા ટીમ પહેલેથી જ રાજધાની ઈસ્લામાબાદમાં હાજર છે.
ઈરાને અમેરિકા સાથે બીજા તબક્કાની શાંતિ બેઠકમાં જવાનો ઈન્કાર કર્યો હતો
ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને ઈઝરાયેલે 28 ફેબ્રુઆરીની રાજ ઈરાન સાથે યુદ્ધ શરૂ કરી દીધું હતું, પછી લગભગ એક મહિના બાદ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ 22 એપ્રિલે યુદ્ધવિરામનો સમયગાળો પૂર્ણ થઈ ગયા બાદ અમેરિકાએ ત્રણ અઠવાડિયા સુધી વધુ યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાત કરી છે. અરાઘચીના વિદેશ પ્રવાસના સમાચાર એવા સમયે સામે આવ્યા છે, જ્યારે તાજેતરમાં જ ઈરાને અમેરિકા સાથે બીજા તબક્કાની વાતચીત કરવાનો ઈન્કાર કીર દીધો હતો. અમેરિકા-ઈરાન વચ્ચે લગભગ 14 દિવસનું યુદ્ધવિરામનો સમય પુરો થઈ ગયો હતો, પરંતુ ઈરાન અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર ન હતું. જેને ધ્યાને રાખીને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે યુદ્ધવિરામ વધુ લંબાવ્યું હતું.
ઈરાન પાસે સારી ડીલ કરવાની તક : અમેરિકા
બીજીતરફ રૉયટર્સના રિપોર્ટ મુજબ, અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે કહ્યું છે કે, ઈરાન પાસે શાંતિ મંત્રણામાં સમજદારીથી નિર્ણય લેવાની સારી તક છે. એવી વિગતો પણ સામે આવી છે કે, પાકિસ્તાની સેનાના વડા આસિમ મુનીરે અબ્બાસ અરાઘચી સાથે ફોન પર લાંબી વાતચીત કર્યા બાદ તેઓ પાકિસ્તાન આવી રહ્યા છે.
આ પણ વાંચો : ‘શત્રુઓ ભાંગી પડ્યા છે...’, યુદ્ધ વચ્ચે અમેરિકા-ઈઝરાયલને મોજતબા ખામેનેઈની નવી ચેતવણી








