ભારતને ઘેરવા નીકળેલા પાકિસ્તાનની ફજેતી, અમેરિકાએ કહ્યું- પહેલા આતંકવાદી વિરુદ્ધ એક્શન લો
US Congressman Slams Pakistan for Terror Support : જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે જવાબ આપતાં પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર સ્ટ્રાઇક કરી હતી. ઓપરેશન સિંદૂરમાં 100થી વધુ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. જે બાદ પાકિસ્તાની સેના સાથે પણ ભારતીય સેનાની અથડામણ થઈ. બંને દેશોના સંઘર્ષમાં ભારતે પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડ્યું. જે બાદ ભારતે દુનિયાના વિવિધ દેશોમાં ઓલ પાર્ટી ડેલિગેશન મોકલવાની જાહેરાત કરી હતી. વિવિધ પક્ષોના સાંસદોના ડેલિગેશને વિદેશોમાં જઈ પાકિસ્તાનની પોલ ખોલી. ભારતની નકલ કરી પાકિસ્તાને પણ દુનિયાના દેશોમાં ડેલિગેશન પાઠવવાની જાહેરાત કરી હતી. જોકે આ નકલ કરવાના ચક્કરમાં પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય ફજેતી થઈ છે.
અમેરિકાના વોશિંગ્ટનમાં પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીના નેતૃત્વમાં પાકિસ્તાનનું ડેલિગેશન ભારત વિરુદ્ધ અમેરિકાને ભડકાવવા માટે ગયું હતું. જોકે અમેરિકાના કોંગ્રેસમેન ( સાંસદ ) બ્રેડ શેરમેને પાકિસ્તાનને જ કડક સંદેશો પાઠવ્યો. તેમણે માંગ કરી છે કે પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. બીજી તરફ ભારતના કોંગ્રેસ સાંસદ શશી થરુરના નેતૃત્વમાં પણ ભારતીય ડેલિગેશન પહેલેથી જ અમેરિકામાં જ છે.
બ્રેડ શેરમેને X પર પોસ્ટ કરીને જણાવ્યું છે, કે 'મેં પાકિસ્તાની ડેલિગેશનને આતંકવાદ વિરુદ્ધ લડતનું મહત્ત્વ સમજાવ્યું. ખાસ કરીને તે સમૂહ વિરુદ્ધ જેણે 2002માં ડેનિયલ પર્લની હત્યા કરી હતી. તેમનો પરિવાર આજે પણ કેલિફોર્નિયામાં રહે છે.' નોંધનીય છે કે પત્રકાર ડેનિયલ પર્લની જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીએ હત્યા કરી હતી. જૈશ-એ-મોહમ્મદ ભારતમાં પણ મોટા આતંકવાદી હુમલા માટે જવાવદાર છે.
આટલું જ નહીં બ્રેડ શેરમેને આતંકવાદ જ નહીં પાકિસ્તાનમાં લઘુમતીઓ સાથે થતાં ભેદભાવનો પણ મુદ્દો ઉઠાવ્યો. તેમણે લઘુમતીઓની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે પાકિસ્તાનમાં ખ્રિસ્તી, હિન્દુ અને અહેમદી મુસ્લિમોને ભય વિના પોતાની આસ્થાનું પાલન કરવાની સ્વતંત્રતા મળવી જોઈએ.