'વળતી કાર્યવાહી કરવાની ભૂલ ન કરતાં...' ઓપરેશન સિંદૂર બાદ અમેરિકન સાંસદની પાકિસ્તાનને સલાહ
USA Congressman Gives Advise To Pakistan: આતંકવાદીઓ વિરુદ્ધ ભારતના ઓપરેશન સિંદૂરે આખા પાકિસ્તાનમાં ખળભળાટ મચાવ્યો છે. પાકિસ્તાન આતંકવાદીઓના મોતનો બદલો લેવાની ધમકી આપી રહ્યું છે. આ ધમકીઓને ધ્યાનમાં લેતાં અમેરિકાના એક સાંસદે પાકિસ્તાનને સલાહ આપી છે કે, આવું તમે વિચારશો પણ નહીં. અમેરિકાના ડેમોક્રેટિક સાંસદ રો ખન્નાએ પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને તાનાશાહ કરાર કર્યા છે.
રો ખન્નાએ પાકિસ્તાનને સલાહ આપી છે કે, પાકિસ્તાન ભારત પર પલટવાર કરવાની ભૂલ ન કરે. બંને દેશ પાસે પરમાણુ હથિયાર છે. હાલ સૌથી જરૂરી બાબત તણાવ ઘટાડવાની છે. પહલગામ આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકો માર્યા ગયા છે. જેના જવાબમાં ભારતે અમુક આતંકી નેટવર્ક ખતમ કરવાની કવાયત કરી હતી. જો કે, હાલ જરૂરિયાત પરિસ્થિતિને શાંત કરવાની છે.
અમેરિકાને મધ્યસ્થી બનવા કરી અપીલ
ખન્નાએ આગળ જણાવ્યું કે, અમેરિકાએ ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી આ ગંભીર તંગદિલીને ઉકેલવા તેમજ રાજકીય રૂપે સમાધાન શોધવામાં મદદ કરવી જોઈએ. અંગ્રેજોએ ભાગલા પાડ્યા હતા. હિન્દુ-મુસ્લિમો વચ્ચે ધાર્મિક ભાગલાને પ્રોત્સાહન આપ્યું હતું. આપણે આ બંને દેશોની જટિલતાઓને સમજી એક પ્રમાણિક મધ્યસ્થી તરીકે ભૂમિકા નિભાવવી જોઈએ.
મુનીર પર પ્રહાર
રો ખન્નાએ પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરને તાનાશાહ ગણાવતાં કહ્યું કે, પાકિસ્તાનમાં લોકશાહીનો અંત આવ્યો છે. અસીમ મુનીર એક તાનાશાહ છે. જેમણે કોઈ કાયદેસર ચૂંટણી સુદ્ધાં થવા દીધી નથી. ઈમરાન ખાનને જેલમાં નાખી દીધા. ત્યાં હવે કોઈ પ્રમાણિક અવાજ છે જ નહીં. અમેરિકાને અપીલ છે કે, તેઓ પાકિસ્તાન પર દબાણ કરે, અને નિષ્પક્ષ ચૂંટણી કરાવે તેની ખાતરી કરે. નિષ્પક્ષ ચૂંટણી તેમજ જવાબી કાર્યવાહી ન કરવા પણ અમેરિકા દબાણ કરે.