Get The App

'અમારી પાસેથી મકાઈની એક બોરી પણ નથી ખરીદતું', ભારતના આકરા વલણ સામે અમેરિકાના મંત્રી લાચાર

Updated: Sep 14th, 2025

GS TEAM

Google News
Google News
'અમારી પાસેથી મકાઈની એક બોરી પણ નથી ખરીદતું', ભારતના આકરા વલણ સામે અમેરિકાના મંત્રી લાચાર 1 - image

Howard Lutnick On India's trade policy : અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પથી લઈને બધા અમેરિકન અધિકારીઓ સતત ભારત તરફથી લાદવામાં આવનાર ઊંચા ટેરિફ અંગે ફરિયાદ કરી રહ્યા છે. હવે ભારતની વેપાર નીતિઓની ટીકા કરતા યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે નવી દિલ્હી પર વૈશ્વિક વેપારનો લાભ લેવા અને બજારની પહોંચને પ્રતિબંધિત કરવાનો આરોપ લગાવ્યો છે.

યુએસ વાણિજ્ય સચિવે શું કહ્યું?

લુટનિકે કહ્યું કે, 'ભારતને તેની 1.4 અબજ વસ્તી પર ગર્વ છે, પરંતુ તે યુએસ કૃષિ નિકાસ પ્રત્યે બહુ ઓછી ખુલ્લી ભાવના દર્શાવે છે. ભારત પાસે આટલી બધી વસ્તી છે તો મકાઈ કેમ ખરીદી રહ્યું નથી? તે આપણી મકાઈ નહીં ખરીદે. તે દરેક વસ્તુ પર ટેરિફ લાદે છે. કાં તો તમે તેને સ્વીકારો અથવા તમારા માટે વિશ્વના સૌથી મોટા ગ્રાહક સાથે વેપાર કરવો મુશ્કેલ બનશે.'

યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતના વધતા જતા વૈશ્વિક પ્રભાવ અને મુક્ત બજાર લોકશાહી હોવાના વારંવાર દાવાઓ છતાં, તેનું સંરક્ષણવાદી વલણ અમેરિકન વ્યવસાયોને નિરાશ કરી રહ્યું છે.  તેમણે કહ્યું કે, 'આ નિષ્પક્ષતાની વાત છે. અમેરિકા ભારતીય માલ-સામાન મુક્તપણે ખરીદે છે, પરંતુ જ્યારે આપણે વેચવા માંગીએ છીએ, ત્યારે દિવાલો ઉભી કરવામાં આવે છે.' 

ભારત તરફથી ડિસ્કાઉન્ટેડ રેટ પર રશિયન ક્રૂડ ઓઇલની વધતી આયાત વિશે પણ લુટનિકે ધ્યાન દોર્યુ હતુ. વૃદ્ધિને વેગ આપવા માટે ભારતને સસ્તી ઊર્જાની જરૂરિયાતનો સ્વીકાર કરતી વખતે, લુટનિકે દલીલ કરી હતી કે આવી ખરીદી વૈશ્વિક વેપાર રાજદ્વારીમાં અસંતુલનને ઉજાગર કરે છે. આ ચિંતાઓ હોવા છતાં અમેરિકા અને ભારત રક્ષા, પ્રૌધોગિક અને નિકાસના ક્ષેત્રમાં રાજકીય મિત્રતા જાળવી રાખી છે. લુટનિકે કહ્યું કે, 'વોશિંગ્ટન તરફથી નવી દિલ્હી સાથે અમારા સંબંધોને ઓછા કરવાની સંભાવના નથી. પરંતુ કૃષિ ચાર્જથી લઈને ઓઈલ ખરીદી સુધી વ્યાપાર સંબંધોમાં હજુ પણ અવરોધો રહેશે.'

આ પણ વાંચો: અવાજથી 10 ગણી સ્પીડ, રશિયાએ 'ઝિરકોન' હાઇપરસોનિક મિસાઈલ ટેસ્ટ કરતાં દુનિયા ચોંકી, અમેરિકા ટેન્શનમાં

ભારત-અમેરિકાના ટ્રેડ ડીલ ટૂંક સમયમાં

ગયા અઠવાડિયે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારતમાં રાજદૂત તરીકેના નોમિની સર્જિયો ગોરે સેનેટની વિદેશ સંબંધો સમિતિને જણાવ્યું હતું કે વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચે ટ્રેડ ડીલ બહુ દૂર નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે વાટાઘાટો હવે એક મહત્ત્વપૂર્ણ તબક્કે પહોંચી છે. જેમાં ગોરે કહ્યું હતું કે, 'ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય વાણિજ્ય મંત્રાલયના એક પ્રતિનિધિમંડળને આવતા અઠવાડિયે અમેરિકાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે.'