નાઈજિરિયામાં ISISના આતંકીઓ પર અમેરિકાની ભયાનક એરસ્ટ્રાઈક, ટ્રમ્પે કહ્યું - ' મેરી ક્રિસમસ...'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump News : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકન સેનાએ ગુરુવારે રાત્રે નાઇજિરિયામાં સક્રિય આતંકી સંગઠન ISIS ના ઠેકાણાઓ પર શક્તિશાળી અને ઘાતક હુમલો કર્યો છે. ટ્રમ્પ ઓક્ટોબર મહિનાથી જ આ આતંકી સંગઠન પર નિર્દોષ ખ્રિસ્તીઓની ક્રૂર હત્યાનો આરોપ લગાવી રહ્યા હતા અને સતત હુમલાની ચેતવણી આપી રહ્યા હતા. આ એરસ્ટ્રાઈકની જાણકારી આપતા ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું કે, ડિપાર્ટમેન્ટ ઓફ વોર દ્વારા આ કાર્યવાહી એવા ખ્રિસ્તીઓ માટે કરવામાં આવી છે જેમની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.

'મૃત આતંકીઓને મેરી ક્રિસમસ'
પોતાના નિવેદનમાં ટ્રમ્પે અત્યંત આક્રમક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, તેમના નેતૃત્વમાં અમેરિકા ક્યારેય કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદને ફૂલવા-ફાલવા દેશે નહીં. તેમણે કટાક્ષમાં લખ્યું, "ભગવાન આપણી સેનાને આશીર્વાદ આપે અને તમામ લોકોને... મૃત આતંકવાદીઓ સહિત સૌને ક્રિસમસની શુભેચ્છાઓ. જો તેઓ ખ્રિસ્તીઓની હત્યા કરવાનું બંધ નહીં કરે, તો હજુ વધુ આતંકવાદીઓ માર્યા જશે." અમેરિકન સેનાની આફ્રિકન કમાન્ડે પુષ્ટિ કરી છે કે આ હુમલો નાઇજીરિયા સરકારની વિનંતી પર કરવામાં આવ્યો હતો અને તેમાં અનેક આતંકીઓ માર્યા ગયા છે.
નાઇજિરિયા સરકારનો અલગ મત
જોકે, ડોનાલ્ડ ટ્રમ્પ આ હુમલાઓને સંપૂર્ણપણે ખ્રિસ્તીઓની સુરક્ષા સાથે જોડી રહ્યા છે, પરંતુ નાઇજિરિયા સરકારનું વલણ થોડું અલગ છે. નાઇજીરિયાનું કહેવું છે કે આ આતંકી સંગઠનો માત્ર ખ્રિસ્તીઓને જ નહીં પરંતુ મુસ્લિમ સમુદાયોને પણ નિશાન બનાવે છે. ટ્રમ્પનો દાવો દેશની જટિલ સુરક્ષા સ્થિતિને માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી રજૂ કરે છે જે વાસ્તવિકતાથી થોડો અલગ હોઈ શકે છે. તેમ છતાં, નાઇજીરિયા પોતાની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે અમેરિકા સાથે મળીને કામ કરવા તૈયાર છે.
શા માટે નાઇજીરિયા નિશાના પર છે?
નાઇજીરિયાની વસ્તી મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલી છે - ઉત્તર નાઇજીરિયામાં મુસ્લિમ બહુમતી છે, જ્યારે દક્ષિણ ભાગમાં ખ્રિસ્તી સમુદાય રહે છે. બોકો હરામ અને ISIS જેવા સંગઠનો ઉત્તરી ભાગમાં સક્રિય છે અને કટ્ટરપંથી વિચારધારા અથવા રાજકીય કારણોસર હુમલાઓ કરતા રહે છે. અગાઉ નવેમ્બરમાં ટ્રમ્પે ધમકી આપી હતી કે જો ખ્રિસ્તીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નહીં આવે તો અમેરિકા આર્થિક સહાય બંધ કરી દેશે. આ હુમલા બાદ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો હિંસા ચાલુ રહેશે તો ભવિષ્યમાં પણ આવા હુમલા કરવામાં આવશે.








