સ્કૂલો-ઍરપોર્ટ બંધ, 5 લાખ લોકોને અસર: વિયેતનામમાં કાજિકી વાવાઝોડાની દહેશત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vietnam Typhoon Kajiki: વિયેતનામ આ વર્ષે સૌથી મોટા અને શક્તિશાળી વાવાઝોડાનો સામનો કરવા તૈયાર છે. સાવચેતીના ભાગરૂપે હવાઈ મથકો બંધ કરવામાં આવ્યા છે, શાળાઓમાં રજા આપવામાં આવી છે, લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. વિયેતનામના હવામાન વિભાગે જણાવ્યું કે, વાવાઝોડું કાજિકી 166 કિમી પ્રતિ કલાક (103 માઈલ પ્રતિ કલાલ)ની સ્પીડે દેશના મધ્ય તટ તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું સોમવારે બપોર સુધી તટથી અથડાતાં પહેલાં જ વધુ વેગવાન બનવાની ભીતિ છે.
વિયેતનામ સરકારે ગઈકાલે રવિવારે રાત્રે નિવેદન આપ્યું હતું કે, આ અત્યંત જોખમી અને ઝડપથી વધતું વાવાઝોડું છે. કાજિકી વાવાઝોડાના કારણે ભારેથી અતિભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની ઘટના બની શકે છે. હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે, હાલ આ વાવાઝોડું કેન્દ્રીય તટથી લગભગ 150 કિમી દૂર હતું. અંદાજ છે કે, તેનું કેન્દ્ર સ્થાનિક સમયાનુસાર સવારે નવ વાગ્યે આસપાસ થાન હોઆ અને ન્ગે આન પ્રાંત વચ્ચેના વિસ્તારમાં ટકરાશે.

વારંવાર વાવાઝોડાનો ભોગ બનતું વિયેતનામ
દક્ષિણ ચીન સમુદ્રનો લાંબો દરિયાકિનારો હોવાથી વિયેતનામ ઘણીવાર જોખમી વાવાઝોડાનો ભોગ બને છે જે ઘાતક પૂર અને ભૂસ્ખલનનું કારણ બને છે. વિયેતનામ સરકારે જણાવ્યું હતું કે વાવાઝોડું કાજિકી ગયા વર્ષે આવેલા યાગી વાવાઝોડા જેટલું શક્તિશાળી હોઈ શકે છે, જેમાં લગભગ 300 લોકો માર્યા ગયા હતા અને 3.3 અબજ ડૉલરની સંપત્તિને નુકસાન થયું હતું. અધિકારીઓએ રવિવારે (25 ઑગસ્ટ, 2025) જણાવ્યું હતું કે 50 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે અને તમામ બોટ તથા જહાજોને દરિયામાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ભારતે સતલુજમાં પાણી છોડતાં પાકિસ્તાનના પંજાબમાં તબાહી, નદીઓ ગાંડીતૂર, મૃતકાંક 788 થયો
ડઝનેક ફ્લાઇટ્સ રદ
વિયેતનામની સિવિલ એવિએશન ઑથોરિટી અનુસાર, થાન હોઆ અને ક્વાંગ બિન્હ પ્રાંતના બે ઍરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે. વિયેતનામ એરલાઇન્સ અને વિયેટજેટે આ વિસ્તારમાં જતી અને જતી ડઝનેક ફ્લાઇટ્સ રદ કરી છે. રવિવારે કાજિકી વાવાઝોડું ચીનના હૈનાન ટાપુના દક્ષિણ કિનારા પરથી પસાર થયું હતું, જેના કારણે સાન્યા શહેરમાં દુકાનો અને જાહેર પરિવહન બંધ કરવાની ફરજ પડી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે પાંચ દરિયાકાંઠાના પ્રાંતોમાં લગભગ 3,25,500 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવશે. તેમને શાળાઓ અને જાહેર ઇમારતોમાં સ્થાપિત રાહત કેન્દ્રોમાં રાખવામાં આવશે. રાષ્ટ્રીય એરલાઇન્સ વિયેતનામ એરલાઇન્સ અને વિયેટજેટે વાવાઝોડાના ભયને કારણે ઘણી ફ્લાઇટ્સ રદ કરી છે.
વિયેતનામમાં આ વર્ષનું પાંચમું વાવાઝોડું
કૃષિ અને પર્યાવરણ મંત્રાલય હેઠળ કામ કરતાં આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓએ ચેતવણી આપી હતી કે, પરિસ્થિતિ અત્યંત જોખમી છે. કોઈપણ પ્રકારનું વાહન અથવા માળખું, જેમ કે પ્રવાસી બોટ, માછીમારી બોટ અને મત્સ્યઉદ્યોગ કેન્દ્રો આ વાવાઝોડામાં સલામત નથી. કાજિકી વાવાઝોડું આ વર્ષે વિયેતનામમાં ત્રાટકેલું પાંચમું ઉષ્ણકટિબંધીય વાવાઝોડું છે. કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2025ના પ્રથમ સાત મહિનામાં કુદરતી આફતોમાં 100થી વધુ લોકો માર્યા અથવા ગુમ થયા છે અને દેશને 2.1 કરોડ ડૉલરથી વધુનું આર્થિક નુકસાન થયું છે.









