Get The App

રશિયામાં વિસ્ફોટથી બે બ્રિજ ઉડાવાતા બે ટ્રેન ખડી પડી : 7નાં મોત, યુક્રેન પર શંકા

Updated: Jun 2nd, 2025

GS TEAM


Google News
Google News
રશિયામાં  વિસ્ફોટથી બે બ્રિજ ઉડાવાતા બે ટ્રેન ખડી પડી : 7નાં મોત, યુક્રેન પર શંકા 1 - image


પેસેન્જર ટ્રેન અને માલગાડીને નિશાન બનાવી વિસ્ફોટ

અકસ્માતમાં 35થી વધુ ઘાયલ, માલગાડીમાં ઇંધણ, હથિયારો, ખાદ્ય સામગ્રી હોવાના અહેવાલ, વિસ્ફોટ અંગે યુક્રેન મૌન

મોસ્કો: રશિયામાં વિસ્ફોટને કારણે બે બ્રિજ ધસી પડયા હતા, જેને કારણે બે ટ્રેન પાટા પરથી ખડી પડી હતી. આ દુર્ઘટનામાં સાત લોકો માર્યા ગયા હતા જ્યારે અનેક લોકો ઘવાયા હતા. એક બ્રિજ યુક્રેન સરહદ પાસે બ્રાંસ્ક પ્રાંતમાં તુટી પડયો હતો, બ્રિજ તુટીને સીધો એક પેસેન્જર ટ્રેન પર ખાબક્યો હતો જેને કારણે જાનહાની થઇ હતી. કલાકો બાદ જ બીજો બ્રિજ પણ તુટી પડયો હતો.

બીજો બ્રિજ પણ યુક્રેન સરહદ પાસે કુર્સ્ક પ્રાંતમાં પણ એક બ્રિજ તુટી પડતા વધુ એક માલગાડી પાટા પરથી ખડી ગઇ હતી અને રોડ પર આવી ગઇ હતી. આ બન્ને અકસ્માતમાં વિસ્ફોટનો ઉપયોગ થયો હોવાનો રશિયા દ્વારા દાવો કરવામાં આવ્યો છે. હાલ રશિયા અને યુક્રેન વચ્ચે ભારે તંગદીલી ચાલી રહી છે. એવા સમયે આ વિસ્ફોટો બાદ ટ્રેન અકસ્માત થયો છે. 

રશિયાના મિનિસ્ટ્રી ઓફ ઇમર્જન્સી મુજબ આ દુર્ઘટના ફેડરલ હાઇવે પાસે બની હતી અને અનેક રેસ્ક્યૂ ટીમ તૈનાત કરાઇ છે. મૃતકોમાં ટ્રેનનો ડ્રાઇવર પણ સામેલ છે. 

રશિયન મીડિયાના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇરાદાપૂર્વક આ બન્ને બ્રિજને વિસ્ફોટકોથી ઉડાવી દેવામાં આવ્યા હોઇ શકે છે. યુક્રેન તરફથી આ મુદ્દે કોઇ તાત્કાલીક નિવેદન આપવામાં નથી આવ્યું. 

 યુક્રેન મિલિટ્રી ઇન્ટેલિજન્સએ એક નિવેદનમાં કહ્યું હતું કે ટ્રેન ખાદ્ય સામગ્રી અને ઇંધણ લઇને ક્રિમીયા તરફ જઇ રહી હતી જેને વિસ્ફોટ દ્વારા ઉડાવી દેવામાં આવી.


Tags :