Get The App

ચીન બાદ હવે આ દેશનો પાકિસ્તાન પ્રેમ છલકાયો, ભારતને પણ તણાવ ઘટાડવા અપીલ

Updated: Apr 29th, 2025

GS TEAM

Google News
Google News
Tayyip Erdogan On Pahalgam Terror Attack

Tayyip Erdogan On Pahalgam Terror Attack: 22 એપ્રિલ 2025 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામની બૈસરન ઘાટીમાં થયેલા આતંકવાદી હુમલાનાં કારણે  ભારત-પાકિસ્તાન સંબંધો વધુ તણાવપૂર્ણ બન્યા છે. તુર્કીયેના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગને બંને દેશોને તણાવ ઓછો કરવા અપીલ કરી છે. 

તુર્કીયેના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગને પાકિસ્તાનને ટેકો આપવાની પણ જાહેરાત કરી છે. એર્દોગનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તુર્કીના C-130 હર્ક્યુલસ વિમાન દ્વારા પાકિસ્તાનને લશ્કરી સામગ્રી પહોંચાડવાના અહેવાલો સામે આવ્યા છે. 

અમે પાકિસ્તાની લોકોને સમર્થન આપીએ છીએ- એર્દોગને

એર્દોગને સોમવારે રાજધાની અંકારામાં કહ્યું, 'પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે તાજેતરમાં આપણા દેશની મુલાકાત લીધી હતી. આ દરમિયાન અમે સંરક્ષણ અને વેપારની સાથે સાથે પાકિસ્તાન સાથેના બહુપક્ષીય સંબંધો પર ચર્ચા કરી. આ સમય સમગ્ર પ્રદેશના વિકાસ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અમે અમારા પ્રદેશમાં કે તેનાથી આગળ કોઈ નવો સંઘર્ષ ઇચ્છતા નથી. અમને આશા છે કે પાકિસ્તાન અને ભારત વચ્ચે કંઈ ગંભીર ઘટના બને તે પહેલાં તણાવ ઓછો થઈ જશે. અમે પાકિસ્તાની લોકોને અમારું સમર્થન આપીએ છીએ.'

તુર્કીયે પાકિસ્તાનને લશ્કરી સહાય પૂરી પાડવાની આશંકા 

રવિવારે તુર્કીયેના 6 C-130 હર્ક્યુલસ લશ્કરી વિમાન પાકિસ્તાન પહોંચ્યા, જેનાથી એવી અટકળોને વેગ મળ્યો કે તુર્કીયે પાકિસ્તાનને લશ્કરી સહાય પૂરી પાડી શકે છે. જોકે, તુર્કીયેના સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે પાકિસ્તાનને કોઈ દારૂગોળો મોકલવામાં આવ્યો નથી. લશ્કરી વિમાન નિયમિત સપ્લાય મિશન પર હતા અને તેમાં કોઈ શસ્ત્રો સંબંધિત વસ્તુઓ નહોતી. આમ છતાં, આ વિકાસે પ્રાદેશિક રાજકારણમાં ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે.

આ પણ વાંચો: પાકિસ્તાને સતત પાંચમા દિવસે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, કુપવાડા અને બારામૂલામાં રાતભર ફાયરિંગ

ભારતનો જોરદાર જવાબ

તાજેતરના આતંકવાદી હુમલા પછી ભારતે રાજદ્વારી સ્તરે અનેક નિર્ણાયક પગલાં લીધાં. સરકારે સિંધુ જળ સંધિ રદ કરી છે, જે દાયકાઓથી ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણીની વહેંચણીનો આધાર રહી છે. SAARC (સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન) હેઠળ પાકિસ્તાનને આપવામાં આવેલી વિઝા મુક્તિ રદ કરવામાં આવી. આ ઉપરાંત, ભારતે તેના હાઇ કમિશનમાં પાકિસ્તાની રાજદ્વારીઓની સંખ્યા ઘટાડી દીધી છે, જેનાથી દ્વિપક્ષીય વાટાઘાટોની શક્યતાઓ વધુ ઘટી ગઈ છે.

ચીન બાદ હવે આ દેશનો પાકિસ્તાન પ્રેમ છલકાયો, ભારતને પણ તણાવ ઘટાડવા અપીલ 2 - image