Get The App

VIDEO: તૂર્કિયેની સંસદ બની યુદ્ધનું મેદાન, સાંસદો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી, જાણો મામલો

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO: તૂર્કિયેની સંસદ બની યુદ્ધનું મેદાન, સાંસદો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી, જાણો મામલો 1 - image

Parliament MPs Clash : તૂર્કિયેની સંસદમાં બુધવાર, 11 ફેબ્રુઆરીના રોજ ભારે હોબાળો મચી ગયો. જ્યારે કેબિનેટ ફેરબદલ દરમિયાન ન્યાય મંત્રાલયમાં એક વિવાદાસ્પદ ચહેરાની નિમણૂક અંગે સત્તાધારી પક્ષ અને વિપક્ષના સાંસદો સામસામે આવી ગયા. અહીં માનનીય સાંસદોએ પોતાની ગરીમાને લજવે તેવું કૃત્ય કર્યું હતું. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયેલા વીડિયોમાં બંને પક્ષના સાંસદો એકબીજા પર મુક્કા અને લાતોનો વરસાદ કર્યો હતો. નોંધનીય બાબત એ હતી કે આ હિંસામાં માત્ર થોડા સાંસદો નહીં, પરંતુ ડઝનબંધ સાંસદોનું ટોળું સામેલ હતું.

આખરે સંસદમાં હોબાળો કેમ થયો?

વિપક્ષી સાંસદોએ ઈસ્તંબુલના મુખ્ય પ્રોસિક્યુટર (મુખ્ય અભિયોજક) અકિન ગુરલેકને સંસદમાં નવા ન્યાય મંત્રી તરીકે શપથ લેતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. અકિન ગુરલેકને તૂર્કિયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન દ્વારા નવા ન્યાય મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ બાબતે ગુસ્સો વધતો ગયો અને વાત હિંસા સુધી પહોંચી ગઈ. સાંસદો એકબીજાને ધક્કા મારતા અને મુક્કાબાજી કરતા જોવા મળ્યા હતા.

ગુરલેકના કારણે અનેક સાંસદો ફસાયા

ઈસ્તંબુલના ચીફ પ્રોસિક્યુટર તરીકે ગુરલેકે મુખ્ય વિરોધ પક્ષ, રિપબ્લિકન પીપલ્સ પાર્ટીના અનેક સભ્યો વિરુદ્ધ હાઈ-પ્રોફાઈલ ટ્રાયલ (કેસ)ની અધ્યક્ષતા કરી હતી. તૂર્કિયેના વિપક્ષ દ્વારા આ ટ્રાયલ્સને રાજનીતિ પ્રેરિત ગણાવવામાં આવે છે. હવે એ જ અકિન ગુરલેક ન્યાય મંત્રી તરીકે શપથ લઈ રહ્યા હતા, જેના કારણે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. રાષ્ટ્રપતિ એર્દોગને પૂર્વી પ્રાંત એર્ઝુરમના ગવર્નર મુસ્તફા સિફ્ટસીને આંતરિક મંત્રી તરીકે પણ નિમણૂક કરી છે. 

રાજકીય ખેંચતાણ અને ધરપકડ

ઉલ્લેખનીય છે કે વિપક્ષી પાર્ટી, રિપબ્લિકન પીપલ્સ પાર્ટીના નિયંત્રણ હેઠળની નગરપાલિકાઓના સેંકડો અધિકારીઓની ભ્રષ્ટાચારની તપાસમાં ધરપકડ કરવામાં આવી છે. તેમાં ઈસ્તંબુલના મેયર એકરેમ ઇમામોગ્લુ પણ સામેલ હતા. જેમને એર્દોગનના મુખ્ય હરીફ તરીકે જોવામાં આવે છે અને તેમની ગયા વર્ષે ધરપકડ કરવામાં આવી હતી. જોકે, સરકારનું કહેવું છે કે ન્યાયતંત્ર સ્વતંત્ર રીતે કામ કરે છે.

ફેરબદલ પાછળનું કારણ?

મંત્રાલયમાં અત્યારે ફેરફાર કેમ કરવામાં આવી રહ્યા છે, તેનું કોઈ સત્તાવાર કારણ આપવામાં આવ્યું નથી. જોકે, સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર ગેઝેટમાં જણાવવામાં આવ્યું હતું કે, વર્તમાન મંત્રીઓએ તેમની ફરજોમાંથી "મુક્ત થવાની વિનંતી" કરી હતી. તૂર્કિયેમાં આ નવી અને વિવાદાસ્પદ નિમણૂકો એવા સમયે થઈ છે જ્યારે દેશ સંભવિત બંધારણીય સુધારાઓ પર ચર્ચા કરી રહ્યો છે અને દાયકાઓ જૂના સંઘર્ષને સમાપ્ત કરવાના હેતુથી 'કુર્દિસ્થાન વર્કર્સ પાર્ટી' (PKK) સાથે શાંતિ પહેલ કરી રહ્યો છે.