ટ્રમ્પની ઈઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધવિરામની યોજના કેટલી હદે ટકશે? જાણો નિષ્ણાતોનો મત
Israel vs Iran War Updates : અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ ભારત પાકિસ્તાન યુદ્ધ બંધ કરવાનો ખોટો યશ લઇ રહ્યા છે. છતાં પાકિસ્તાનના જનરલ મુનીરે તેઓની પ્રશંસા કરતાં કહ્યું હતું કે બંને દેશો વચ્ચે પરમાણુ યુદ્ધનું અટકાવવા માટે તેઓને નોબલ શાંતિ પુરસ્કાર આપવો જોઇએ. આ વાહીયાત વાત ટ્રમ્પના મગજમાં ઘૂસી ગઈ હોય તેવું સ્પષ્ટપણે છે.
તેઓએ ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું : 'હું યુક્રેન રશિયા યુદ્ધ એક દિવસમાં બંધ કરાવી દઇશ તેવું તો ન જ થયું. છેવટે તેમણે જ કહેવું પડયું કે તેમને લડવું છે તો ભલે લડી મરતા. બસ આવી જ પરિસ્થિતિ ઇઝરાયલ-ઇરાન યુદ્ધમાં થઇ છે. ઇરાને કતારમાં અમેરિકાની એરબેઝ ઉપર જ મિસાઇલ હુમલો કર્યો છે. તેટલું જ નહીં પરંતુ ઇઝરાયલ ઉપર પણ મિસાઇલ હુમલો કર્યો. તેના વળતા જવાબમાં ઇઝરાયલે ઇરાન પર મિસાઇલ હુમલો કરવા તેના લશ્કરને જણાવી દીધું છે. આ સાથે બંને દેશો એકબીજા પર યુદ્ધ વિરામ ભંગના આક્ષેપો કરી રહ્યા છે. તેવામાં ઇરાનની ઇસના (આઈએસએસએ) (ઇરાન સ્ટુડ ટચ ન્યૂઝ એજન્સી)એ તેમ કહ્યું છે કે ઇરાનના મિસાઇલ હુમલાના સમાચારો તદ્દન ખોટા છે. આમ એક પછી એક આક્ષેપ પ્રતિઆક્ષેપનો સિલસીલો એટલો ચક્રવાતી બન્યો છે કે સાચું શું અને ખોટું શું ? તે નિશ્ચિત જ કરી શકાય તેમ નથી.'
બીજી તરફ ઇરાને જણાવ્યું છે કે તેનાં સશસ્ત્ર દળોને દુશ્મનના શબ્દોમાં વિશ્વાસ નથી. ફાર્સ ન્યૂઝ એજન્સી આ માહિતી આપતાં જણાવે છે કે ઇરાની દળોએ તેમ કહ્યું હતું કે અમે કોઈ પણ ભાવિ હુમલા માટે તૈયાર છીએ. અમારી આંગળી બંદૂકનાં ટ્રિગર ઉપર જ છે. જ્યારે ઇઝરાયલના સંરક્ષણમંત્રી ઇઝરાયલ કાત્ઝે તેનાં સૈન્યને હાઈ ઇન્ટેન્સિટી ઓપરેશન ચાલુ રાખવા જણાવી દીધું છે. પ્રમુખ ટ્રમ્પે યુદ્ધ વિરામ જાહેર કર્યા પછી પણ ઇરાનના હુમલા ચાલુ જ રહ્યા છે.
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને યુદ્ધ વિરામનો દેખાવ પૂરતો તો સ્વીકાર કર્યો જ હતો અને કહ્યું પણ હતું કે 13મી જૂને અણચેતવ્યો હુમલો કરી ઇઝરાયલે ઇરાનનો પરમાણુ કાર્યક્રમ અને મિસાઇલે કેપેસિટી ખેદાન મેદાન કરી પોતાનું ધ્યેય તો સિદ્ધ કરી જ લીધું છે. આ સાથે તેઓએ પ્રમુખ ટ્રમ્પનો અને અમેરિકાની જનતાનો પણ યુદ્ધ વિરામ માટે આભાર માની લીધો હતો. ગઇકાલે બપોરના 4 વાગ્યાથી (સ્થાનિક સમય પ્રમાણે) યુદ્ધ વિરામ તો થયો હતો તેવામાં ઇરાને કતાર સ્થિત અમેરિકન એરબેઝ પર હુમલો કરી નાખ્યો.
પરિસ્થિતિ આ સાથે એટલી ગૂંચવાઈ છે કે સાચું કોણ કે ખોટું કોણ તે નક્કી થઇ શકે તેમ જ નથી. તે જે હોય તે ઘડીભર કદાચ યુદ્ધ વિરામ થાય પણ ખરો પરંતુ તે લાંબો ટકી શકે તેમ નથી. આ યુદ્ધનો અંત ક્યારે આવશે તે કહી શકાય તેમ નથી. તેવું વિશ્લેષકનું અનુમાન છે.