ભારત અવરોધો નહીં હટાવે તો 25 ટકા ટેરિફ : ટ્રમ્પની ધમકી
- વેપાર કરાર મુદ્દે અમેરિકન પ્રમુખે ભારત પર દબાણ વધાર્યું
- રેસિપ્રોકલ ટેરિફની 9 જુલાઈની ડેડલાઈનમાં મરજી મુજબ ફેરફાર કરી શકું, મન થાય છે બધા દેશોને ૨૫ ટકા ટેરિફ લાદવાનો પત્ર લખી દઉં : ટ્રમ્પ
- ભારત અને પાકિસ્તાનને અમેરિકા સાથેનો વેપાર બંધ કરવાની ધમકી આપીને પરમાણુ યુદ્ધ અટકાવ્યું : ટ્રમ્પનો ફરી દાવો
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યા પછી હવે ફરી એક વખત તેમણે ટેરિફ મુદ્દે ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા પર આવતા જ દુનિયાના દેશો પર નાખેલો રેસિપ્રોકલ ટેરિફ ક્રમશઃ ૯ જુલાઈ સુધી પાછો ઠેલ્યો હતો. આ ડેડલાઈન હવે નજીક આવી રહી છે ત્યારે ટ્રમ્પે ફરી એક વખત કહ્યું છે કે ૯ જુલાઈની ડેડલાઈન તેઓ મરજી મુજબ લંબાવી અથવા ટૂંકાવી શકે છે. બીજીબાજુ ટ્રમ્પે ભારત પર તમામ વેપાર અવરોધો હટાવવા દબાણ કરતા ૨૫ ટકા ટેરિફની ગર્ભિત ધમકી આપી છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે મોટો સોદો કરવાની વાત કર્યાના બીજા જ દિવસે આ ધમકી આપી છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં જણાવ્યું હતું કે, તેઓ ભારત સાથે એવી વેપાર સમજૂતી કરવા માગે છે, જેમાં બધા જ પ્રકારના વેપાર અવરોધો હટાવવામાં આવે. તેમણે આ બાબતને અકલ્પનીય ગણાવતા કહ્યું કે, ભારત સાથે આવી સમજૂતી થવી જરૂરી છે. જેથી અમેરિકા કોઈપણ અવરોધો વિના ભારતમાં વેપાર કરી શકે.
ભારત સાથે લાંબા સમયથી અટવાયેલો દ્વિપક્ષીય વેપાર કરાર ટૂંક સમયમાં થઈ જશે તેવો આશાવાદ વ્યક્ત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે ઉમેર્યું કે, અત્યારે ભારતમાં વેપાર કરવો ખૂબ જ મુશ્કેલ છે. તમે ત્યાં વેપાર કરવાનું તો દૂર વેપાર કરવા અંગે વિચારી પણ શકો તેમ નથી. પરંતુ અમે ભારત સાથે એક સમજૂતી કરવા જઈ રહ્યા છીએ, જેનાથી અમને ત્યાં જવા અને વેપાર કરવાનો અધિકાર મળશે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફના અમલ માટેની ૯ જુલાઈની ડેડલાઈન પહેલાં આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ૯ જુલાઈની કોઈ ડેડલાઈન નથી. અમે જે ઈચ્છીએ તે કરી શકીએ છીએ. અમે ડેડલાઈન લંબાવી પણ શકીએ અને ટૂંકાવી પણ શકીએ. મને તો મન થાય છે કે બધા જ દેશોને અત્યારે જ પત્ર લખીને જણાવું કે, અભિનંદન, તમે ૨૫ ટકા ટેરિફ ચૂકવવા જઈ રહ્યા છો. હકીકતમાં ટ્રમ્પે બે એપ્રિલે ૨૦૦થી વધુ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી અને ભારત પર ૨૬ ટકા ટેરિફ નાંખ્યા હતા. જોકે, ૯ એપ્રિલે ટ્રમ્પે બધા જ દેશો પર ૧૦ ટકાના બેઝલાઈન ટેરિફની જાહેરાત કરી અને રેસિપ્રોકલ ટેરિફનો અમલ ૯૦ દિવસ પાછો ઠેલીને ૯ જુલાઈની ડેડલાઈન નિશ્ચિત કરી હતી.
રેસિપ્રોકલ ટેરિફની ૯ જુલાઈની ડેડલાઈન અંગે વ્હાઈટ હાઉસની પ્રેસ સચિવ કેરોલિના લેવિટે પણ કહ્યું હતું કે, આ ડેડલાઈન નિશ્ચિત નથી. ટ્રમ્પ ઈચ્છે તો તેમાં ફેરફાર કરી શકે છે. અમેરિકાના નાણાં મંત્રી સ્કોટ બેસેન્ટે પણ કહ્યું કે, અનેક દેશ અમને સારો પ્રસ્તાવ આપી રહ્યા છે. અમેરિકાના ૧૮ મુખ્ય પાર્ટનર છે. તેમાંથી ૧૦-૧૨ સાથે સમજૂતી થઈ જાય તો મજૂર દિવસ એટલે કે સપ્ટેમ્બરના પહેલા સપ્તાહ સુધી ૨૦ અન્ય દેશો સાથે વાતચીત થઈ શકે છે અને રેસિપ્રોકલ ટેરિફની ડેડલાઈન ત્યાં સુધી લંબાઈ શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, રેસિપ્રોકલ ટેરિફની ડેડલાઈન પહેલાં અનેક દેશ સાથે તેમની ડીલ થઈ રહી છે. દુનિયાના બે સૌથી મોટા અર્થતંત્રો અમેરિકા અને ચીન વચ્ચે વેપાર સોદો થઈ ગયો છે. હવે અમે ભારત સાથે અકલ્પનીય વેપાર સોદો કરવા જઈ રહ્યા છીએ. જોકે, સૂત્રો મુજબ ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરારની ચર્ચા ઓટો પાર્ટ્સ, સ્ટીલ, કૃષિ ક્ષેત્ર અને ડેરી ઉદ્યોગો પર ટેરિફના મુદ્દે અટકી છે. ભારત સ્ટીલ અને ઓટો પાર્ટ્સ પર લાગુ ટેરિફમાં પણ છૂટ ઈચ્છે છે. ભારત ૯ જુલાઈએ લાગુ થનારા સૂચિત રેસિપ્રોકલ ટેરિફને પાછો ખેંચવા પર ભાર મૂકી રહ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવ્યાનો દાવો કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે, તેમણે તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય ઘર્ષણ દૂર કરવામાં મદદ કરી હતી. સૈન્ય ઘર્ષણ વચ્ચે તેમણે ભારત અને પાકિસ્તાનને અમેરિકા સાથે બધો જ વેપાર બંધ કરવાની ધમકી આપીને સંભવિત પરમાણુ યુદ્ધથી બંને દેશોને દૂર રહેવા માટે સંમત કર્યા હતા. જોકે, ભારતે વારંવાર પાકિસ્તન સાથેના ઘર્ષણમાં કોઈપણ ત્રીજા પક્ષની મધ્યસ્થતાના દાવાને નકારી કાઢ્યા છે.
કેનેડાના ડિજિટલ ટેક્સથી અમેરિકન પ્રમુખ નારાજ
ટ્રમ્પે કેનેડા સાથે વેપાર વાટાઘાટો બંધ કરી, નવા ટેરિફ જાહેર કરશે
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા સાથે ટેરિફ સમજૂતી પર વાટાઘાટો બંધ થયાની શુક્રવારે એક તરફી જાહેરાત કરી હતી. ટ્રમ્પે કહ્યું કેનેડાએ અમેરિકન ટેક્નોલોજી કંપનીઓ પર નવા ટેક્સ લગાવીને ખુલ્લો હુમલો કર્યો છે. તેથી તેની સાથે વેપાર સમજૂતી રોકવામાં આવે છે અને ાગામી સપ્તાહ સુધીમાં તે કેનેડા પર નવા ટેરિફની જાહેરાત કરશે. અમેરિકન કૃષિ નિકાસ પર વધુ પડતા ટેરિફને ટાંકીને ટ્રમ્પે સોશિયલ મીડિયા ટ્રુથ સોશિયલ પર લખ્યું કે કેનેડા લાંબા સમયથી વેપાર કરવા માટે ખૂબ જ મુશ્કેલ દેશ રહ્યો છે. અનેક વર્ષોથી તેમણે ડેરી ઉત્પાદનો પર ટેરિફ નાંખ્યો છે, જેનાથી અમારા ખેડૂતોને ૪૦૦ ટકા સુધીનું નુકસાન થયું છે. કેનેડા અમેરિકા પર સોમવારથી કર લગાવવાની તેની યોજના પર અડગ છે. એવામાં અમેરિકા ટૂંક સમયમાં જ કેનેડાની વસ્તુઓ પર ટેરિફ લગાવશે. કેનેડાએ અમેઝોન, મેટા, ગૂગલ, એપલ જેવી અમેરિકાની ટેક્નોલોજી કંપનીઓ પર ડિજિટલ ટેક્સ લગાવ્યો છે, જેનો અમલ ૩૦ જૂનથી થવાનો છે. કેનેડાના આ ટેક્સથી પણ ટ્રમ્પ નારાજ થઈ ગયા છે.
ભારત સાથે અકલ્પનીય વેપાર સોદાનો ટ્રમ્પનો દાવો
અમેરિકા સાથે કરાર મુદ્દે સરકાર વિપક્ષને વિશ્વાસમાં લે : કોંગ્રેસ
- અમેરિકા સાથે 'મોટો વેપાર સોદો' કરતા ભારત કૃષિ ક્ષેત્ર, એમએસએમી ખોલી રહ્યું છે : જયરામ રમેશનો સવાલ
નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે ટૂંક સમયમાં 'ખૂબ જ મોટો' વેપાર સોદો કરવાનો દાવો કર્યો છે. ટ્રમ્પના આ દાવાથી મુખ્ય વિપક્ષ કોંગ્રેસ ભડક્યો છે. ટ્રમ્પના દાવાઓ અંગે કોંગ્રેસે કેન્દ્ર સરકાર પાસે ખુલાસો માગ્યો છે અને માગણી કરી છે કે, અમેરિકા સાથે વેપાર સોદો કરતા પહેલાં સરકારે વિપક્ષને વિશ્વાસમાં લેવો જોઈએ.
કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ વાણિજ્ય મંત્રી આનંદ શર્માએ જણાવ્યું કે, ભારત-અમેરિકા વેપાર સોદો પારસ્પરિક લાભદાયક હોવો જોઈએ. ભારતે દબાણ હેઠળ આ કરાર કરવો જોઈએ નહીં. ભારત અમેરિકાને ટેરિફમાં જંગી છૂટછાટ આપી રહ્યું છે અને અમેરિકાના ઉદ્યોગો માટે ભારતના ક્ષેત્રો ખોલી રહ્યું છે તેવા ટ્રમ્પના દાવાઓ અંગે સરકારે ખુલાસો કરવો જોઈએ. ભારતના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ થવું જોઈએ. ભારતે આ વેપાર કરાર કરતી વખતે નિયમ આધારિત બહુપક્ષીય વેપાર વ્યવસ્થા જાળવી રાખવા અને તેને મજબૂત બનાવવા ડબલ્યુટીઓ કરારનું સન્માન કરવુ જોઈએ. ભારતે ઈયુ, આસિઆન, આફ્રિકા યુનિયન, જીસીસી અને એલએસી જેવા અન્ય ભાગીદાર દેશોને પણ મહત્વ આપવું જોઈએ.
કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે સવાલ કર્યો કે ભારત અમેરિકા સાથે એવો કયો મોટો સોદો કરવા જઈ રહ્યો છે કે વારંવાર ટ્રમ્પ વેપાર અંગે નિવેદન આપી રહ્યા છે. ૧૦ મેથી અત્યાર સુધીમાં ટ્રમ્પ ૧૭થી ૧૮ વખત વેપારની ધમકી આપીને ભારત-પાકિસ્તાન યુદ્ધ અટકાવ્યાનો દાવો કરી ચૂક્યા છે. ટ્રમ્પ ભારત સાથે 'મોટો વેપાર સોદો' કરવાનો દાવો કરી રહ્યા છે ત્યારે એવું લાગે છે કે વ્હાઈટ હાઉસ તરફથી ભારતને ખૂબ જ મહત્વના નિર્ણયો જણાવવામાં આવે છે. કદાચ આ જ કારણ હશે કે ભારતે ઉતાવળે ઓપરેશન સિંદૂરનો અંત લાવી દીધો હશે.