'ઈરાન બહાદુરી સાથે યુદ્ધ લડ્યું...' ટ્રમ્પનું ઈઝરાયલને ખૂંચે તેવું નિવેદન, પ્રતિબંધમાં રાહતના સંકેત આપ્યા
Iran-Israel Conflict: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે 12 દિવસના યુદ્ધ બાદ સીઝફાયરની જાહેરાત કરવામાં આવી છે. બંને દેશો વચ્ચેના યુદ્ધમાં અમેરિકાએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અમેરિકાના હુમલામાં ઈરાનના પરમાણુ પ્લાન્ટને ભારે નુકસાન થયું છે. આ દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'ઈરાનને તેના પુનર્નિર્માણ માટે પૈસાની જરૂર પડશે. આ સમસ્યા ક્રૂડ દ્વારા દૂર કરી શકાય છે. યુદ્ધ હમણાં જ ત્યાં સમાપ્ત થયું છે. તે બહાદુરી સાથે યુદ્ધ લડ્યા.'
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?
નેધરલેન્ડ્સના હેગમાં આયોજિત નાટો સમિટમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ઈરાનને તેના દેશનું પુનર્નિર્માણ કરવા માટે પૈસાની જરૂર પડશે. યુદ્ધ હમણાં જ ત્યાં સમાપ્ત થયું છે. તે બહાદુરીથી યુદ્ધ લડ્યા. તે ક્રૂડના વેપારી છે. જો હું ઇચ્છું તો, હું પોતે ચીનને ક્રૂડ વેચી શકું છું, પરંતુ હું તે કરતો નથી. જો તે ક્રૂડ વેચવા માંગતા હોય, તો તેમણે તે વેચવું જોઈએ. અમે તેમની ક્રૂડ સંપત્તિ જપ્ત કરી રહ્યા નથી.'
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ થયાના એક દિવસ પછી આવ્યું છે. તેમણે એક દિવસ પહેલા જ સંકેત આપ્યા કે, જો ચીન ઈરાન પાસેથી તેલ ખરીદે છે, તો તેમને તેનાથી કોઈ વાંધો નથી. આ ઉપરાંત વ્હાઇટ હાઉસે પણ સ્પષ્ટ કર્યું છે કે આ ઈરાનના ક્રૂડ પર પ્રતિબંધોની નીતિમાં ફેરફાર નથી.
આ પણ વાંચો: મેક્સિકોમાં ડાન્સ પાર્ટી વચ્ચે ગેંગવૉર ફાટી નીકળ્યું, અંધાધૂંધ ગોળીબારમાં 12 લોકોના મોત
ઈરાનનો પરમાણુ કાર્યક્રમ: 400 કિલો યુરેનિયમ બચાવ્યું
ઈરાને પરમાણુ શક્તિ બનવા તરફ ત્રણ મોટા પગલાં લીધાં છે, જેમાં 400 કિલો યુરેનિયમ બચાવવું અને આંતરરાષ્ટ્રીય પરમાણુ એજન્સી (IAEA) સાથે માહિતી શેર ન કરવા માટે બિલ પસાર કરવું શામેલ છે. અહેવાલો અનુસાર, ઈરાન 60 ટકા સુધી સમૃદ્ધ 400 કિલો યુરેનિયમ બચાવવામાં સફળ રહ્યું છે, જે ઓછામાં ઓછા 10 પરમાણુ બોમ્બ બનાવી શકે છે અને તેને ગુપ્ત સ્થળે લઈ જવામાં આવ્યું હતું. ઈરાનની સંસદના સ્પીકરે જાહેરાત કરી છે કે 'ઈરાન પરમાણુ કાર્યક્રમને વેગ આપશે'. આ દરમિયાન, ઈરાને મોસાદના જાસૂસોને મૃત્યુદંડની સજા ફટકારી છે, જેનાથી ઈઝરાયલ અને અમેરિકા બંને માટે નવા પડકારો ઊભા થયા છે.