'હું યુદ્ધ રોકવામાં માહેર છું', અફઘાનિસ્તાન-પાકિસ્તાન સંઘર્ષ પર ટ્રમ્પની ટિપ્પણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર નોબેલ પુરસ્કારનો મુદ્દો ઉછાળતાં તેમજ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં લેતાં નિવેદન આપ્યું કે, હું યુદ્ધ ઉકેલવામાં સારો છું. હું મારા શાંતિ પ્રયાસો માટે નોબેલ પુરસ્કાર માગતો નથી.
પાકિસ્તાન-અફઘાનિસ્તાન તણાવ બાદ આપ્યું નિવેદન
ટ્રમ્પે સંઘર્ષોમાં મધ્યસ્થી કરવાના પોતાના રૅકોર્ડ વિશે બડાઈ મારતા કહ્યું કે મારા વહીવટીતંત્રે અનેક વૈશ્વિક વિવાદો ઉકેલ્યા છે. ગાઝા યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે. મારા પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન ઇઝરાયલ-ગાઝા વચ્ચેના યુદ્ધ વિરામ સાથે મેં કુલ 'આઠ યુદ્ધ'માં શાંતિ સ્થાપી છે, મેં સાભળ્યું છે કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. મારે હવે તે રોકવા પ્રયાસો કરવા પડશે. કારણકે, હું યુદ્ધ ઉકેલવામાં સારો છું. પણ હું મારા શાંતિ પ્રયાસો માટે ક્યારેય નોબેલ પુરસ્કાર માગતો નથી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ઇઝરાયલ અને ઇજિપ્તની મારી મુલાકાત યુદ્ધવિરામમાં મધ્યસ્થી કર્યા પછી યુદ્ધવિરામને મજબૂત સમર્થન આપવા, ગાઝામાં પુનર્નિર્માણ પ્રયાસોને આગળ વધારવા અને પ્રાદેશિક શાંતિ તરફના નાજુક ગતિ પર નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
નોંધનીય છે, ટ્રમ્પે શનિવારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે થયેલી અથડામણની નોંધ લેતાં આ નિવેદન આપ્યું હતું. શનિવારે અફઘાનિસ્તાને જણાવ્યું હતું કે, તેણે પાકિસ્તાનના હુમલા પર પ્રતિક્રિયા આપતાં હુમલો કર્યો હતો. જેમાં 58 પાકિસ્તાની સૈનિકોના મોત થયા હતા. જ્યારે પાકિસ્તાનની સેનાએ આ મામલે 23 ઘાયલ થયા હોવાનો દાવો કર્યો હતો.
આ પણ વાંચોઃ 'અમેરિકામાં કંઈક મોટું થવાનું છે...', વધતા જતા દેવા વચ્ચે અબજપતિ ઈન્વેસ્ટરે ચેતવ્યાં
મેં લોકોના જીવ માટે કામ કર્યું, નોબેલ માટે નહીં
ટ્રમ્પે આગળ કહ્યું કે, મારા શાંતિના પ્રયાસોએ લાખો લોકોના જીવ બચાવ્યા છે. આ કરવું મારા માટે સન્માનની વાત છે. મેં લાખો લોકોના જીવ બચાવ્યા. નોબેલ સમિતિએ 2024ના વર્ષને ધ્યાનમાં લઈને પુરસ્કાર આપ્યો, પરંતુ એવા લોકો છે જે કહે છે કે તમે અપવાદ કરી શકો છો. કારણ કે 2025માં ઘણી બધી વસ્તુઓ બની જે પૂર્ણ અને મહાન હતી. પરંતુ મેં આ નોબેલ માટે નથી કર્યું. મેં લોકોના જીવ બચાવવા માટે કર્યું.
ટ્રમ્પની ભારત-પાકિસ્તાન યુદ્ધ પર ડંફાસ
ટ્રમ્પે વધુમાં ડંફાસ મારી હતી કે, મેં માત્ર ટેરિફની મદદથી જ કેટલાક યુદ્ધ રોકી દીધા હતા. જેમ કે, ભારત-પાકિસ્તાન. રાજદ્વારી દબાણ નહીં પણ આર્થિક પ્રેશરના કારણે આ બંને દેશ વચ્ચે યુદ્ધ અટક્યા. જો તમે યુદ્ધમાં લડવા માગતા હોવ તો તમારી પાસે ન્યુક્લિયર હથિયારો છે. પરંતુ મેં ઊંચા ટેરિફનો માર્ગ અપનાવ્યો- 100 ટકા, 150 ટકા, અને 200 ટકા. હું ટેરિફ લાદી મોટા-મોટા મુદ્દાઓ 24 કલાકમાં ઉકેલી રહ્યો છું. જો ટેરિફ ન હોત તો યુદ્ધ રોકી શકાયું ન હોત.









