ટ્રમ્પ ફરી બોલ્યા, કહ્યું- ‘આઈ લવ પાકિસ્તાન, મારા દ્વારા જ ભારત-પાકિસ્તાનનું યુદ્ધ અટક્યું’
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump on India Pakistan Ceasefire : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. બંને નેતાઓ વચ્ચે લગભગ 35 મિનિટ સુધી વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી. ત્યારબાદ ટ્રમ્પના આમંત્રણ પર વ્હાઈટ હાઉસ પહોંચા પાકિસ્તાની સેનાના જનરલ આસીમ મુનીરે અમેરિકન પ્રમુખ સાથે ડીનર કર્યું હતું. આ તમામ ઘટનાક્રમ બાદ ટ્રમ્પે ફરી એકનો એકનો રાગ આલાપ્યો છે અને ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામની ક્રેડીટ લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, ‘મેં જ ભારત-પાકિસ્તાનનું યુદ્ધ અટકાવ્યું છે.’
આઈ લવ પાકિસ્તાન : ડોનાલ્ડ ટ્રમ્પ
ટ્રમ્પે કહ્યું કે, ‘આઈ લવ પાકિસ્તાન. મેં એક દિવસ પહેલા વડાપ્રધાન મોદી સાથે વાત કરી હતી, તેઓ શાનદાર વ્યક્તિ છે. હવે અમે તેમની સાથે ટ્રેડ ડીલ કરી શકીએ છીએ.’ ભારત-પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ બાદ સિઝફાયર થયું હતું. ત્યારબાદ ટ્રમ્પ વારંવાર આ યુદ્ધવિરામની ક્રેડિટ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજીતરફ ભારતે પણ દર વખતે ટ્રમ્પના દાવાને ફગાવી દીધા છે.
ટ્રમ્પ-મોદી વચ્ચે થઈ હતી ટેલિફોનિક વાત
ટ્રમ્પે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી. ટ્રમ્પ દ્વારા ફોન કરવામાં આવ્યો હતો અને લગભગ 35 મીનીટ સુધી વાતચીત ચાલી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ટ્રમ્પને ભારતની આતંકવાદ વિરોધી નીતિ, જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા અને ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ કરેલી કાર્યવાહીની માહિતી આપી હતી. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવામાં ટ્રમ્પનો હાથ હોવાના દાવાને પણ ફગાવી દીધો છે. મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે, ભારત-પાકિસ્તાનના ડીજીએમઓ સ્તર પર વાતચીત થયા બાદ યુદ્ધવિરામ થયું છે, તેમાં ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા નથી. તેમણે એમ પણ કહ્યું કે, જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને ભારત આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ પર કાયમ રહેશે.
ટ્રમ્પનું પાક. સેનાના જનરલ સાથે વ્હાઈટ હાઉસમાં ડીનર
ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથે વાતચીત કર્યા પહેલા પાકિસ્તાનના જનરલ મુનીર સાથે વ્હાઈટ હાઉસમાં ડીનર કર્યું હતું. બંને વચ્ચે શું વાતચીત થઈ, તે હજુ સામે આવ્યું નથી, પરંતુ ટ્રમ્પની આ હરકત વૈશ્વિક ચર્ચાનો મુદ્દો બનવાની સાથે ભારતની ચિંતા વધારી દીધી છે. કારણ કે તાજેતરમાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ થયું હતું. ટ્રમ્પ અને મુનીર વચ્ચે આજે યોજાયેલી બેઠક સમજથી ઉપર છે, કારણ કે ટ્રમ્પ એકતરફ આતંકવાદનો જાહેરમાં વિરોધ કરી રહ્યા છે, તો બીજીતરફ આતંકને પોષનારાઓ સાથે લંચ કર્યું હતું. બંને વચ્ચે ગોપનીય અને રહસ્યમય ચર્ચા થઈ હતી, જેના કારણે તે વૈશ્વિક સહિત ભારતની ચિંતાનો વિષય બની ગયો છે.
ટ્રમ્પ-મુનીરની બેઠક ભારત માટે સતર્ક રહેવાના સંકેત
ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં જ ઘર્ષણ થયું હતું. આતંકવાદીઓએ પહલગામમાં આડેધડ ગોળીબાર કરી 26 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા, જેના કારણે ભારતે પાકિસ્તાનમાં આતંકીઓના અનેક ઠેકાણાઓ નષ્ટ કરી દીધા હતા. આ દરમિયાન ભારતે સિંધુ જળ સંધી પણ સસ્પેન્ડ કરી દીધી છે. સંધી હેઠળ ભારતે પાણી અટકાવવાની ધમકી આપ્યા બાદ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના નેતા બિલાવલ ભુટ્ટો જરદારીએ યુદ્ધની ધમકી આપી હતી. આવી સ્થિતિમાં અમેરિકાએ પાકિસ્તાની સેનાના જનરલને સન્માનજનક આમંત્રણ આપવું ભારત માટે રાજદ્વારી દ્રષ્ટિએ સતર્ક રહેવાના સંકેત છે.








