ટ્રમ્પે એપલને આઇફોન યુએસમાં ન બને તો 25 ટકા ટેરિફ લાદવાની ફરી ધમકી આપી

- ભારત 2025ના અંતમાં મોબાઇલ ફોન નિર્માણનો 30 ટકા હિસ્સો મેળવશે
- ઇજનેરોના અભાવે ભારતને પડકારવાનું યુએસ માટે મુશ્કેલ
દેવનહલ્લી, કર્ણાટક : એપલ કંપનીની ગ્લોબલ સપ્લાય ચેઇનમાં મહારત હાંસલ કરી તેના આઇફોનનું ઉત્પાદન ભારતમાં કરવા સાથે ભારત ૨૦૨૫ના અંત સુધીમાં દુનિયામાં મોબાઇલ ઉત્પાદનક્ષેત્રમાં ૩૦ ટકાનો હાંસલ કરવાની દિશામાં અગ્રેસર બની રહ્યું છે ત્યારે યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એપલ કંપનીને ધમકી આપી છે કે જો તે અમેરિકામાં વેચાનારા આઇફોનનું ઉત્પાદન અમેરિકામાં નહીં કરે તો તેના પર ૨૫ ટકા ટેરિફ એટલે કે ઇમ્પોર્ટ ડયુટી લાદવામાં આવશે.
ટ્રમ્પે ધમકી આપી છે કે તેઓ અમેરિકાની બહાર બનતાં આઇફોન સહિતના તમામ મોબાઇલ ફોન પર ૨૫ ટકા ઇમ્પોર્ટ ડયુટી લાદવા માટે વિચારણા કરી રહ્યા છે.જો કે, વિવિધ કારણોસર આઇફોનનું ઉત્પાદન ભારતમાંથી ખસેડી યુએસમાં કરવાનું હાલ તો અશક્ય લાગે છે.
અમેરિકા જંગી ટેરિફ લાદી તથા એડવાન્સ ટેકનોલોજી પર નિયંત્રણો મુકી ઉત્પાદન ક્ષેત્રમાં પોતાનો દબદબો પાછો મેળવવા માંગે છે. હાલ એપલ ફોક્સકોન નામની સપ્લાયર કંપની મારફતે કર્ણાટકના દેવનહલ્લીમાં આઇફોનનું નિર્માણ કરી તેને દુનિયાભરમાં સપ્લાય કરે છે. ફોક્સકોને ૩૦૦ એકર જમીનમાં પથરાયેલી આ ફેકટરી સ્થાપવા માટે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કર્યું છે. હાલ આ ફેકટરીમાં આઠ હજાર લોકોને રોજગાર મળે છે.
ફોક્સકોનની ફેકટરી શરૂ થવાથી ભારતમાં મોબાઇલ ઉત્પાદનની ઇકો સિસ્ટમ ઉભી થઇ છે અને સ્થાનિક અર્થવ્યવસ્થામાં પણ તેજી આવી ગઇ છે. ઇન્ડો મિમ અને સેટમ જેવી સ્થાનિક કંપનીઓ મોબાઇલ ઉત્પાદનમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. મોબાઇલ સપ્લાય ચેઇનમાં ભારતે એક મજબૂત અને આત્મનિર્ભર તંત્ર ઉભું કર્યું છે.
ભારતમાં ટેકનિકલ જ્ઞાાન ધરાવતાં યુવાનોની કોઇ કમી નથી. દર વર્ષે હજારો યુવાનો ટેકનિકલ નોલેજ સાથે ઇજનેર બનીને બહાર પડે છે. તેઓ મોબાઇલ ઉત્પાદન ક્ષેત્રમાં જોડાઇ જાય છે. કર્ણાટકની વસતી વિયેટનામ કરતાં અડધી છે તેના પરથી જ ભારતની સસ્તી લેબરનો અંદાજ મળી જાય છે. ભારતમાં યુવા ઇજનેરો મુશ્કેલ સ્થિતિમાં પણ કામ કરવા તત્પર હોય છે. જેની સામે અમેરિકામાં પૂરતી સંખ્યામાં શિક્ષિત ઇજનેરો જ નથી. અમેરિકાના ઇજનેરોને આ ક્ષેત્રમાં કામ કરવામાં કોઇ રસ નથી. પરિણામે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ પોકળ પુરવાર થવાની સંભાવનાઓ વધારે છે. અમેરિકા હાલ ઇચ્છે તો પણ હાલ મોબાઇલ ઉત્પાદન બજારમાં ચીન અને ભારતને તેની સિમિત માનવબળને કારણે પડકારી શકે તેમ નથી.









