ન્યૂયોર્ક, સોમવાર, 1 જુન
ગ્લોબલ વોર્મિગથી થતા જળવાયુ પરીવર્તનના લીધે માણસ સ્થળાંતર કરી શકે છે,પરંતુ વનસ્પતિઓ પણ મૌસમનો સંકેત પાંમી પોતાના અસ્તિત્વને બચાવવા એક સ્થળથી બીજા સ્થળે ખસતી હોવાનું સંશોધકોના ધ્યાનમાં આવ્યું છે.આથી વનસ્પતિની કોઇ જાત કોઇ એક સ્થળે પુષ્કળ જોવા મળતી હોય ત્યાં જોવા ન મળે અને આગળ બીજે કયાંક તે ઉગી નિકળે તે શકય છે.જળવાયુ પરીવર્તનની માણસ અને પ્રાણીઓ ઉપરાંત વનસ્પતિઓ પર શું અસર પડશે તે જાણવા માટે આ સ્થળાંતરનો અભ્યાસ ખૂબ જ મહત્વનો છે. જેમ કે ઠંડા પ્રદેશના વૃક્ષો અને વનસ્પતિઓ ઉપરની તરફ સરકે તો અસ્તિત્વ ટકી રહેવાના ચાન્સ વધારે હોય છે. દાત, ઠંડા પ્રદેશમાં ઉગતા છોડવાઓ કટિબંધીય પ્રદેશો તરફ આગળ વધે તો ઠંડકવાળુ વાતાવરણ મળી રહે છે.
જોકે નવાઇની વાત તો એ છે કે વનસ્પતિને આ સેન્સ કેવી રીતે થાય છે તે જાણી શકાતું નથી. એક માહિતી મુજબ છેલ્લા ૩ દાયકાથી વનસ્પતિ અને છોડવાઓની અનેક જાતોમાં સ્થાનફેર વધી ગયું છે.જો કે સ્થળાંતરનો મતલબ એવો નથી કે વનસ્પતિ માણસોની જેમ ગતિ કરે છે પરંતુ તરત જ નજરે ના ચડે એવી સુક્ષ્મ હિલચાલની વર્ષો પછી ખબર પડે છે.

આ સ્થળાંતર ભવિષ્યના ખતરા સામે અસ્તિત્વ ટકાવી રાખવાનો કુદરતી સંકેત પણ છે. ધ એટલાન્ટિકના એક સંશોધન અહેવાલ મુજબ સફેદ ઓક, શુગર, મેપલ્સ અને અમેરિકન હોલીની અનેક પ્રજાતિઓ પૂર્વી અમેરિકામાં જોવા મળે છે તે હવે પશ્ચીમ દિશા તરફ ખસે છે. જે વૃક્ષોની પ્રજાતિઓનો સંશોધનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો તેમાં અડધા કરતા પણ વધુ પ્રજાતિઓ ઉત્તર દિશા તરફ આગળ વધી હોવાનું માલૂમ પડયું. ખાસ કરીને પહોળા પાનવાળી વનસ્પતિઓની પ્રજાતિ ભેજની દિશામાં આગળ વધતી હોવાનું પણ માલૂમ પડયું હતું.


