- અમેરિકાના પ્રમુખ ભારતનું મહત્વ સમજે છે
- પ્રમુખ ટ્રમ્પે મંગળવારે (યુએસના સોમવારે) જણાવ્યું હતું કે, તેમનું તંત્ર ભારત સાથે જુદા જ પ્રકારનો વ્યવહાર રાખવા માગે છે
વોશિંગ્ટન : પ્રમુખ ટ્રમ્પે મંગળવારે (અમેરિકાના સોમવારે) જણાવ્યું હતું કે, તેઓનું વહીવટીતંત્ર ભારત સાથે જુદા જ પ્રકારનો વ્યવહાર રાખવા માગે છે, જે પહેલાં રખાયો હતો તે કરતાં જુદો હશે. આ ઉપરાંત પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, કોઈ એક બિંદુએ તો, ભારત ઉપરનો ટેરિફ ઘટવાની શક્યતા છે, અને તે સંબંધે અમેરિકા ભારતની નજીક જઈ રહ્યું છે.
પ્રમુખે કહ્યું હતું કે, 'અત્યારે તો તેઓને મારા પ્રત્યે કોઈ પ્રેમ નથી પરંતુ પછીથી પ્રેમ થઈ જશે. અમે યોગ્ય વ્યવહાર શરૂ કરીશું.'
આ અંગે બ્લુમબર્ગનો રીપોર્ટ જણાવે છે કે, હવે અમે સૌ કોઈને હિતકારી બની રહે તેવા નિર્ણય ઉપર આવવાના છીએ. તેમ કહેતા પ્રમુખે ભારતની ભારે પ્રશંસા કરી હતી.
તેઓએ કહ્યું : ભારત વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓ પૈકીની એક અતિ પ્રાચીન સંસ્કૃતિ છે તે દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે ત્યાં ૧.૫ અબજ જેટલા નાગરિકો વસે છે. વિસ્તારની દ્રષ્ટિએ પણ તે વિશ્વના વિશાળ દેશોની શ્રેણીમાં આવે છે. તેટલું જ નહીં પરંતુ અત્યારે તો ભારતનું અર્થતંત્ર દુનિયામાં સૌથી વધુ ઝડપે વિકસી રહેલું અર્થતંત્ર છે. અમારે વડાપ્રધાન મોદી સાથે અસામાન્ય મૈત્રી પણ છે. ઈન્ડોપેસિફિક વિસ્તારમાં તેનું મહત્વ ઘણું જ છે. અર્જીયો ગોરને ત્યાં રાજદૂતપદે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ સુદ્રઢ કરશે. અમેરિકાના મહત્વના ઉદ્યોગો અને ટેકનોલોજી ક્ષેત્રે પણ ભારતમાં મૂડી રોકાણ કરવામાં આવશે તેમજ ઊર્જા નિકાસ (ઓઈલની નિકાસ) પણ વધશે. સાથે સલામતી ક્ષેેત્રે વધુ વિસ્તાર થશે.
નિરીક્ષકો કહે છે કે ઈન્ડોપેસિફિક વિસ્તારમાં ડ્રેગનના ફેલાતા પંજાને લીધે અમેરિકાના પ્રમુખને ભારતનું મહત્વ સમજાયું છે.


