રશિયાના આ શહેરમાં ઉનાળાનું સરેરાશ તાપમાન ૧૬ ડિગ્રી રહે છે
શિયાળામાં પારો ગગડીને -૩૬ ડિગ્રી સુધી પહોંચી જાય છે
ઉનાળામાં ગરમીના લીધે લોકોએ પરસેવે રેબઝેબ થવું પડતું નથી
મોસ્કો, 21 એપ્રિલ, 2021,
ભારતમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં ૪૫ ડિગ્રી તાપમાન સામાન્ય થઇ ગયું છે ત્યારે એ જાણીને નવાઇ લાગશે કે રશિયાના યાકુત્સ્ક નામના શહેરનું વાર્ષિક તાપમાન -૩૫ ડિગ્રી રહે છે.આ શહેર આર્કેટિક રેખાથી ૪૫૦ કિમી દૂર દક્ષિણ બાજુ લેના નદી પાસે વસેલું છે. ૨ લાખ ૭૦ હજારની વસ્તી ધરાવતા આ શહેરમાં ૧૨ મે થી ૧૦ સપ્ટેમ્બર સુધીના સમયને સમર ગણવામાં આવે છે તે દરમિયાન પણ તાપમાન ૧૨ ડિગ્રી જેટલું રહે છે. આમ યાકૂત્સ્ક શહેરના લોકો ગરમીના લીધે પરસેવે રેબઝેબ થવું પડતું નથી.
૧૭ જુલાઇ આસપાસ આ શહેરનું તાપમાન ૨૦ ડિગ્રી થાય છે ત્યાર બાદ તાપમાનનો પારો ખાસ ઉંચો જતો નથી. આથી ઉનાળા દરમિયાનના સરેરાશ તાપમાનનું માપ કાઢવામાં આવે તો ૧૬ ડિગ્રીથી વધારે થતું નથી. એટલે કે એસીની મહંતમ કુલિંગ કેપેસિટી જેટલું સરેરાશ ઉનાળાનું તાપમાન રહે છે.જયારે શિયાળાનો સમયગાળો ૧ નવેમ્બરથી ૧ લી માર્ચ સુધીનો ગણાય છે.આ દરમિયાન તાપમાન ઘટીને -૨૩ ડિગ્રી જેટલું રહે છે.૧૩ જાન્યુઆરી આસપાસનો દિવસ સૌથી ઠંડો દિવસ ગણાય છે.જેમાં સામાન્ય તાપમાન -૩૬ ડિગ્રી જયારે ન્યુનતમ તાપમાન -૪૧ ડિગ્રી રહે છે.
ભારતમાં છેલ્લા ૧૧૦ વર્ષમાં સરેરાશ તાપમાનમાં ૦.૬૭ ડિગ્રીનો વધારો
બીજી બાજુ ગ્લોબલ વૉર્મિગની અસરના પગલે પૃથ્વીના તાપમાનમાં સતત વધારો થઇ રહયો છે તેમાંથી ભારત પણ બાકાત નથી. એક માહિતી મુજબ ભારતમાં છેલ્લા ૧૧૦ વર્ષમાં સરેરાશ તાપમાનમાં ૦.૬૭ ડિગ્રીનો વધારો થવાથી કાળઝાળ ગરમી પડી રહી છે.વધતું જતું પ્રદૂષણ,સિમેન્ટ કોક્રિટના બાંધકામ અને ઘટતા જતા જંગલો જેવી સમસ્યા પર ધ્યાન આપવામાં નહી આપવામાં આવે તો ૨૦૫૦ સુધીમાં સરેરાશ તાપમાન ૨ ડિગ્રી વધે તેવી શકયતા છે.
આમ જોવા જઇએ તો બે ડિગ્રી તાપમાનનો વધારો ભલે સંખ્યાત્મક રીતે નાનો લાગતો હોય પરંતુ સરેરાશ વાતાવરણમાં ગરમીમાં થતો આટલો વધારો હવામાનના બધા જ પાસા પલટી નાખે છે. વર્તમાન વર્ષના માર્ચ મહિના દરમિયાન મહારાષ્ટ્રના ભીરા નામના સ્થળનો પારો ૪૬.૫ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. ૨૦૧૭નું વર્ષ ગત વર્ષની તુલનામાં પણ વધારે ભીષણ ગરમી પડે તેવી શકયતા છે. વધતા જતા તાપમાનના પગલે લૂ તથા ગરમી સંબંધિત તકલીફોના કારણે મુત્યુનો આંક છેલ્લા ૧૦ વર્ષથી વધી ગયો છે. ઉનાળાની ભીષણ ગરમીના લીધે દર વર્ષે સરેરાશ ૩ હજારથી વધુ લોકોના મોત થાય છે. આમ ઉનાળો હવે સિઝન નહી પરંતુ ત્રાસદી બની ગયો છે.