યુદ્ધની વચ્ચે ભગવાન વિષ્ણુની મૂર્તિ તોડી પાડવા મામલે થાઈલેન્ડની સ્પષ્ટતા, ભારતે કર્યો હતો વિરોધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Lord Vishnu Statue Demolished Controversy: થાઈલેન્ડ અને કંબોડિયાની સંવેદનશીલ સરહદ પર સ્થાપિત ભગવાન વિષ્ણુની પ્રતિમાને થાઈ સેના દ્વારા હટાવવામાં આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદ છેડાયો છે. ભારત સરકારે આ ઘટનાને વિશ્વભરના હિન્દુઓની આસ્થા પર પ્રહાર ગણાવી સખત શબ્દોમાં વખોડી કાઢી છે. બીજી તરફ થાઈલેન્ડે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, 'આ પગલું ધર્મ પ્રેરિત નહીં પરંતુ સુરક્ષાના કારણોસર લેવામાં આવ્યું છે.'
શું છે સમગ્ર વિવાદ?
અહેવાલો અનુસાર, થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે વર્ષોથી સરહદ વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદિત વિસ્તારમાં આવેલા 'ચોંગ આન મા' ક્ષેત્રમાં ભગવાન વિષ્ણુની એક પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. થાઈ સેનાએ તાજેતરમાં આ પ્રતિમાને તોડી પાડી અથવા હટાવી દીધી હતી, જેનાથી તણાવ વધ્યો છે.
આ પણ વાંચો: યુદ્ધની વચ્ચે આ દેશમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ બુલડોઝરથી તોડી પડાઈ, ભારતે વિરોધ નોંધાવ્યો
ભારતીય વિદેશ મંત્રાલયે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, 'આ કૃત્યથી કરોડો હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે.લોકો હિન્દુ અને બૌદ્ધ દેવતાઓમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે, આવા અપમાનજનક કૃત્યો સ્વીકાર્ય નથી.' આ ઉપરાંત ભારતે અપીલ કરી છે કે બંને દેશોએ આ પ્રદેશના સાંસ્કૃતિક વારસાને નુકસાન પહોંચાડ્યા વગર રાજદ્વારી માધ્યમોથી સરહદ વિવાદ ઉકેલવો જોઈએ.
સુરક્ષા અને સત્તાવાર માન્યતાનો મુદ્દો
અહેવાલ અનુસાર, થાઈલેન્ડ સરકાર અને 'થાઈ-કંબોડિયન બોર્ડર પ્રેસ સેન્ટર' એ આક્ષેપોને નકારતા નીચે મુજબના મુદ્દા રજૂ કર્યાં છે. જે જગ્યાએ પ્રતિમા હતી તે ધાર્મિક સ્થળ તરીકે રજિસ્ટર્ડ નહોતું. આ પ્રતિમા મૂળભૂત નહોતી પરંતુ પાછળથી સ્થાપિત કરવામાં આવી હતી, જે સરહદની સુરક્ષા માટે પડકારરૂપ બની શકે તેમ હતી. થાઈલેન્ડે ભારપૂર્વક જણાવ્યું કે 'અમે હિન્દુ ધર્મ સહિત તમામ ધર્મોનો આદર કરે છે, પરંતુ સંવેદનશીલ સરહદ પર તણાવ ઘટાડવા આ નિર્ણય અનિવાર્ય હતો.'
ઉલ્લેખનીય છે કે,થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો આ સરહદ વિવાદ દાયકાઓ જૂનો છે. અગાઉ પણ પ્રીહ વિહિઅર (Preah Vihear) મંદિરને લઈને બંને દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લાંબી લડાઈ ચાલી ચૂકી છે. ભારતની ચિંતા એ છે કે દક્ષિણ-પૂર્વ એશિયામાં ફેલાયેલા હિન્દુ-બૌદ્ધ સાંસ્કૃતિક ચિહ્નો રાજકીય વિવાદોનો ભોગ ન બને.








