તેલ અવીવ પર હુથી હુમલા બાદ નેતન્યાહૂનું મોટું નિવેદન, કહ્યું- 'ધમાકા થશે, જવાબ જરૂર આપીશું'
Tel Aviv Airport Attack: ઇઝરાયલના તેલ અવીવમાં થયેલા મિસાઈલ હુમલા બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ બેઠક કરીને હુથી વિદ્રોહીઓને પરિણામ ભોગવવાની ચેતવણી આપી દીધી છે. ઇઝરાયલના મુખ્ય ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા હુમલા બાદ રવિવારે બેન્જામિ નેતન્યાહૂએ ઇમરજન્સી બેઠક બોલાવી હતી.
નેતન્યાહૂએ X પર પોતાનો એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે, હુથી હુમલા માટે ઇઝરાયલની જવાબી કાર્યવાહી એકવારમાં જ સમાપ્ત થનારી સ્થિતિ નહીં હોય. હુમલાના જવાબમાં હુમલા કરવામાં આવશે, ધમાકા કરવામાં આવશે. ઇઝરાયલના વડાપ્રધાને ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ (IDF) તરફથી યમનમાં હુથી વિદ્રોહીઓ વિરૂદ્ધ કરવામાં આવી રહેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અમે તેમના વિરૂદ્ધ સતત કાર્યવાહી કરી રહ્યા છીએ.
અમે પૂર્વમાં પણ હુથી વિદ્રોહીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે અને આગળ પણ આ કાર્યવાહી ચાલુ રહેશે. હું તેને સંપૂર્ણ માહિતી નથી આપી શકતો. અમેરિકા પણ અમારી સાથે વાતચીત કરીને તેના વિરૂદ્ધ કાર્યવાહી કરી રહ્યું છે. આ એકવારમાં થનારી કાર્યવાહી નથી, પરંતુ હવે હુથી વિદ્રોહીઓ પર વધારે પ્રહાર કરવામાં આવશે.
મિસાઈલ હુમલો રોકવામાં ઇઝરાયલની 2 સિસ્ટમ નિષ્ફળ
મિહાઈલ હુમલો રોકવા માટે ઇઝરાયલ પાસે અમેરિકા દ્વારા તૈયાર કરાયેલી THAAD સિસ્ટમની સાથો સાથ સ્વદેશી એરો સિસ્ટમ પણ છે, પરંતુ આજે બંને હુમલા રોકવામાં નિષ્ફળ રહી. અધિકારીઓએ ઇઝરાયલની વાયુ રક્ષાના ઉલ્લંઘન અને મિસાઈલની અસર સ્થળની સંપૂર્ણ તપાસ શરૂ કરી દીધી છે.
ઇઝરાયલના એરપોર્ટ પર મિસાઈલ હુમલો થતાં એર ઈન્ડિયાની તમામ ફ્લાઈટ સસ્પેન્ડ
ઇઝરાયલમાં આવેલા બેન ગુરિયન એરપોર્ટ પર હુથી વિદ્રોહીઓ દ્વારા મિસાઈલ હુમલો થતાં દિલ્હીથી તેલ અવીવ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને અબુધાબી ડાયવર્ટ કરવામાં આવી છે. આ મિસાઈલ હુમલો એર ઈન્ડિયા ફ્લાઈટ AI139ના તેલ અવીવમાં લેન્ડિંગના કલાક પહેલાં જ થયો હતો.
ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ અનુસાર, એરઇન્ડિયાની ફ્લાઈટ જોર્ડિયન એરસ્પેસમાં હતી, ત્યારે અચાનક હુથીઓ દ્વારા બેન ગુરિયન એરપોર્ટ પર હુમલો થયો હતો. ઇઝરાયલની સેના આ મિસાઈલ હુમલો અટકાવવા નિષ્ફળ રહી હતી. જો કે, હુમલામાં હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. છ જણ ઘાયલ થયા હતાં. હુમલા બાદ તમામ ફ્લાઈટ સેવાઓને સ્થગિત કરવામાં આવી છે.