World

ટેરિફ, પેનલ્ટીઝ, ભારત-અમેરિકા સંબંધો પર માઠી અસર કરશે

By GS TEAM
1 Aug 20252 mins read
ટેરિફ, પેનલ્ટીઝ, ભારત-અમેરિકા સંબંધો પર માઠી અસર કરશે

- આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતોનું સ્પષ્ટ તારણ

- ભારત પર તૂટી પડયા પછી બંને દેશોના વ્યૂહાત્મક સરકાર, અને ફાયટર જેટ-એન્જિન્સ, ટેકનોલોજી-ટ્રાન્સફર, AI ફાર્મા સેક્ટર પર અસર થશે

નવીદિલ્હી : ભારતના રશિયા સાથે સંબંધો વધી રહ્યા હોવાથી, ધૂંધવાયેલા પ્રમુખ ટ્રમ્પે ભારત ઉપર વધુ ટેરિફ નાખવાની જાહેરાત કર્યા પછી, કેટલીયે બાબતો અંગે પેનલ્ટી પણ કરવાની જાહેરાતથી ભારત-અમેરિકા સંબંધો બગડી ગયા છે. આના પરિણામે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સરકાર, ટેકનોલોજી, ટ્રાન્સફર, ફાયટર જેટ એન્જિન્સ, એ.આઈ. અને ફાર્માસ્યુટિક્સ સેક્ટર જેવાં ક્ષેત્રોમાં સહકાર રહેવાની સંભાવના નહીવત્ બની છે. તેટલું જ નહીં પરંતુ રેર-અર્થ ક્ષેત્રે પણ અમેરિકા ભારતને સહકાર આપવાનું નથી.

બુધવારે પ્રમુખ ટ્રમ્પે ભારતથી આયાત થતા માલ ઉપર ૨૫ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી તેમજ કેટલીક બાબતોમાં તો પેનલ્ટી લગાડવાની પણ જાહેરાત કરી હતી. તેનું કારણ તે છે કે ભારતે રશિયા પાસેથી તેલ અને શસ્ત્ર-સરંજામ ખરીદવાનું ચાલુ રાખ્યું છે. ટ્રમ્પ આથી ભારત પર ગિન્નાયા છે.

ઉલ્લેખનીય છે કે ફેબુ્રઆરીમાં મોદી અને ટ્રમ્પ મંત્રણામાં બંને નેતાઓએ અમેરિકા-ભારત વચ્ચે ટ્રસ્ટ યોજવા નિર્ણય લેવાયો હતો. (ટ્રસ્ટ ટ્રાન્ફોર્મિંગ ધી રીલેશનશિપ યુટીલાઈઝિંગ સ્ટ્રેટેજિક ટેકનોલોજી). આ ટ્રસ્ટની ફર્સ્ટ ટ્રેક ૧.૫: ડાયલોગની પહેલી બેઠક માર્ચ મહિનામાં ભારતમાં મળી હતી. તેમાં સૌથી મહત્ત્વની વાત તો બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે સહકાર સ્થાપવાની હતી. જેમાં જનરલ ઇલેટ્રિકલ્સ (જી.ડી.) દ્વારા બનાવાતાં જીઈએફ-૪૧૪ ફાયટર જેટ એન્જિન્સનું ભારતમાં સંયુક્ત ઉત્પાદન કરવાની બાબત સૌથી મહત્ત્વની હતી. આ એન્જિન તેજસ માર્ક-૧એમાં અત્યારે તેજસ્માં જી-ઈ-એફ-૪૦૪ એન્જિન ગોઠવાય છે. એફ-૪૧૪ એન્જિન્સ ગોઠવાતાં તેજસ ફાયટર જેટસ્ની શક્તિ વધી જશે. આવાં ૮૦૦ એન્જિન્સ બનાવવાની યોજના છે. એટલે કે ૮૦૦ તેજસ્ વિમાનો બનાવવાનાં છે. આ વિમાનો સિંગલ એન્જિન વિમાનો છે.

એ.આઈ. રોડ-મેપ તે ટ્રસ્ટનો આધાર સ્તંભ છે. તેમાં નેકસ્ટ જનરેશન ડેટા સેન્ટર્સ સ્થાપવા તેમજ પ્રોસેસર એક્સેસ તથા ઔદ્યોગિક ભાગીદારી રચવાની બાબતો આવરી લેવાઈ છે. ઉપપ્રમુખ જે.ડી. વાન્સ એપ્રિલમાં ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે આ રોડમેપ વિષે ચર્ચા થઈ હતી.

ક્વોડ-નેતાઓની શિખર પરિષદ ૨૦૨૫નાં છેલ્લાં ચરણમાં અહીં (નવી દિલ્હી)માં યોજવાની છે પરંતુ તે ઉષ્માભરી ન રહેતાં ઠંડીગાર રહેવાની શક્યતા છે.