Get The App

પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને 'NO ENTRY' અંગે તાલિબાને કહ્યું - અમે નહોતા રોક્યા

Updated: Oct 12th, 2025

GS TEAM

Google News
Google News
પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને 'NO ENTRY' અંગે તાલિબાને કહ્યું - અમે નહોતા રોક્યા 1 - image

Taliban Minister in India and PC Controversy : ભારતના પ્રવાસે આવેલા અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીની પ્રેસ કૉન્ફરન્સમાંથી મહિલા પત્રકારોને બહાર રાખવાને લઈને સર્જાયેલા વિવાદ વચ્ચે તાલિબાને સ્પષ્ટતા આપી છે. તાલિબાનના રાજકીય વડા સુહૈલ શાહીને શનિવારે કહ્યું કે અમારા તરફથી મહિલાઓને બહાર રાખવા માટે કોઈ સૂચના આપવામાં આવી નહોતી અને આ ઘટના પાછળ તાલિબાનનો કોઈ હાથ નથી.

તાલિબાનનો ઇનકાર અને ભારતનું વલણ

અહેવાલ મુજબ, શાહીને દાવો કર્યો કે "અમારા વિશે જે કંઈ કહેવામાં આવી રહ્યું છે તે બિલકુલ સાચું નથી." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અફઘાનિસ્તાનમાં પણ મહિલા પત્રકારો છે અને તેઓ મીડિયા સંસ્થાઓમાં કામ કરી રહી છે. શાહીને ઉમેર્યું કે કાબુલમાં મુત્તાકી પોતે મહિલા પત્રકારોને નિયમિતપણે મળે છે અને તેમના સવાલોના જવાબ આપે છે, તેથી અહીં કોઈ પ્રતિબંધનો સવાલ નથી.

ભારતના વિદેશ મંત્રાલયે શું કહ્યું? 

બીજી તરફ, ભારતીય વિદેશ મંત્રાલયે આ વિવાદ પર પહેલા જ સ્પષ્ટતા કરી દીધી છે કે તે પ્રેસ કૉન્ફરન્સ સાથે ભારતને કોઈ લેવા દેવા નહોતા, કારણ કે તે સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સ નહોતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તે અફઘાન દૂતાવાસમાં યોજાયેલી એક અલગ પ્રેસ વાર્તા હતી જેમાં માત્ર અમુક પસંદગીના પુરુષ પત્રકારો અને અફઘાની દૂતાવાસના અધિકારીઓ સામેલ હતા.

વિપક્ષના પ્રહાર, ગાંધી પરિવાર આક્રમક

દિલ્હીમાં અફઘાન વિદેશ મંત્રીની પ્રેસ કૉન્ફરન્સમાં મહિલાઓને પ્રવેશ ન આપવા બદલ વિપક્ષે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સોશિયલ મીડિયા પર પણ મહિલાઓની એન્ટ્રી પરના આ પ્રતિબંધને લઈને ભારે આક્રોશ ફેલાયો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ સીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો હતો. પ્રિયંકા વાડ્રાએ કહ્યું હતું કે વડાપ્રધાને આ મામલે સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે "જો મહિલા અધિકારો પ્રત્યેની તમારી માન્યતા માત્ર એક ચૂંટણીથી બીજી ચૂંટણી સુધી જ રહે છે, તો તે સ્પષ્ટ થવું જોઈએ. તમે દેશમાં મહિલાઓનું અપમાન કેવી રીતે થવા દીધું?"