Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીર પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ શખ્ત કાર્યવાહી કરી છે. ભારત સરકારે સિંધુ જળ કરાર પર રોક સહિત અનેક પ્રતિબંધો લાદીને પડોશી દેશને આંચકો આપ્યો છે, ત્યારે ભારતની કાર્યવાહીથી ડરીને પાકિસ્તાને આવતીકાલે ગુરુવારે (24 એપ્રિલ, 2025) સવારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી હોવાનું સામે આવ્યું છે.
ભારતના નિર્ણય બાદ પાકિસ્તાન આવતીકાલે બેઠક યોજશે
પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ કરી હતી કે, ભારત સરકારના નિવેદનનો જવાબ આપવા માટે આવતીકાલે ગુરુવારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે બુધવારે (23 એપ્રિલ, 2025) કેબિનેટ સુરક્ષા સમિતિ (CCS)ની બેઠક યોજાઈ હતી. જેમાં જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. હુમલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને CCS એ ઘણા કડક પગલાં લેવાનો નિર્ણય લીધો અને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે.
સિંધુ જળ કરાર પર રોક લગાવવાનો નિર્ણય
વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, સિંધુ જળ કરાર (1960) પર તાત્કાલિક અસરથી રોક લગાવવામાં આવી છે. આ કરાર ત્યારે જ પુનઃસ્થાપિત થશે, જ્યારે પાકિસ્તાન સરહદ પારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરશે. આ ઉપરાંત અટારી ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી રહી છે, જે લોકો માન્ય દસ્તાવેજો સાથે આ માર્ગ દ્વારા ભારત આવ્યા છે તેઓ 1 મે પહેલા પાછા આવી શકે છે.
આ પણ વાંચો: કેન્દ્ર સરકારે 24 એપ્રિલે બોલાવી સર્વદળીય બેઠક, રાજનાથ સિંહ કરી શકે છે અધ્યક્ષતા
જ્યારે વિદેશ મંત્રાલયએે કહ્યું કે, 'SAARC હેઠળે પાકિસ્તાની નાગરિકોને ભારતીય યાત્રા કરવાની અનુમતિ આપવામાં નહી આવે. પાકિસ્તાની નાગરિકોને પહેલા જારી કરેલા SVES વિઝાને રદ માનવામાં આવશે. SVES હેઠળ ભારતમાં રહેતા પાકિસ્તાનીઓને 48 કલાકમાં ભારતી છોડવાનો આદેશ કરવામાં આવ્યો છે.'



