Shahbaz Sharif Credits Trump for India-Pak Peace : હજારોના મોત બાદ આખરે ગાઝામાં શાંતિ સ્થપાઈ છે. ઈઝરાયલ અને હમાસ સીઝફાયર માટે રાજી થયા બાદ ગઇકાલે ઈજિપ્તમાં સમિટ યોજાઈ હતી. આ સમિટમાં ટ્રમ્પ સહિત વિશ્વના અનેક નેતાઓ પહોંચ્યા હતા. અહીં મંચ પર ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને ભાષણ આપવા બોલાવ્યા, બાદમાં શરીફે ટ્રમ્પના ભરપેટ વખાણ કર્યા હતા.
શાહબાઝ શરીફે ટ્રમ્પના ભરપેટ વખાણ કર્યા
પાકિસ્તાનના વડાપ્રધાને ટ્રમ્પના દાવાનું સમર્થન કરતાં કહ્યું કે ટ્રમ્પની મધ્યસ્થીના કારણે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકાયું હતું. ટ્રમ્પ ભાષણ આપી રહ્યા હતા, એમાં અચાનક જ તેમણે પાકિસ્તાનના વડાપ્રધાનને ભાષણ આપવા આમંત્રણ આપ્યું. શાહબાઝ શરીફે કહ્યું, કે 'આજનો દિવસ આધુનિક ઈતિહાસમાં સૌથી મહાન દિવસોમાંથી એક છે. ટ્રમ્પના પ્રયાસોના કારણે જ શાંતિ સ્થાપિત થઈ છે. ટ્રમ્પના કારણ જ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકાયું. તમે નોબેલ શાંતિ પુરસ્કાર માટે સૌથી યોગ્ય ઉમેદવાર વ્યક્તિ છે.'
ટ્રમ્પ ગળગળા થઈ ગયા
શરીફે વધુમાં કહ્યું, કે 'જો આ વ્યક્તિ ( ટ્રમ્પ ) ના હોત તો ન જાણે ભારત અને પાકિસ્તાન વચ્ચે શું થયું હોત! કારણ કે બંને દેશો પાસે પરમાણુ બોમ્બ છે.' શરીફની આટલી ખુશામત સાંભળી ટ્રમ્પ પણ ગદગદ થઈ ગયા. કહ્યું, 'વાહ! તમે ખૂબ સુંદર કહ્યું, ખૂબ ખૂબ આભાર!' નોંધનીય છે કે ટ્રમ્પે પોતાના ભાષણમાં પાકિસ્તાનની સેનાના પ્રમુખ આસિમ મુનિરને તેમના 'ફેવરિટ ફિલ્ડ માર્શલ' ગણાવ્યા હતા.


