SCO Summit: SCO શિખર સંમેલનના બીજા દિવસે 1 સપ્ટેમ્બરના રોજ બધા સદસ્ય દેશોએ એક સૂરમાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની ટીકા કરી. SCOના ઘોષણાપત્રમાં તમામ દેશોએ આ હુમલા પર ભારતના વલણને પુનરાવર્તિત કર્યું. રાજદ્વારી રૂપે આને ભારતની મોટી જીત તરીકે જોવામાં આવી રહ્યું છે. આ એટલા માટે પણ ખાસ છે કારણ કે, આતંકવાદને આશ્રય આપનારા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પોતે આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે.
સદસ્ય દેશોએ એક સૂરમાં પહલગામ હુમલાની ટીકા કરી
મીડિયા અહેવાલ પ્રમાણે SCOના તમામ સદસ્ય દેશોએ એક સૂરમાં પહલગામ હુમલામાં માર્યા ગયેલા લોકો અને ઘાયલોના પરિવારો પ્રત્યે પોતાની ઊંડી સંવેદના વ્યક્ત કરી. સભ્ય દેશોએ કહ્યું કે, આવા હુમલાના દોષીતો, હુમલામાં સામેલ સંગઠનો અને તેને ભંડોળ આપનારાઓને ન્યાયના કઠેડામાં લાવવા જોઈએ. સદસ્ય દેશોએ એ વાત પર પણ ભાર મૂક્યો કે, આતંકવાદીઓ, અલગતાવાદીઓ અને ઉગ્રવાદી જૂથોનો ભાડૂતી હેતુઓ માટે ઉપયોગ કરવાના પ્રયાસો સ્વીકાર્ય નથી.
આતંકવાદ સામે લડાઈમાં ડબલ સ્ટાન્ડર્ડ અસ્વીકાર્ય
SCOએ આતંકવાદના તમામ રૂપો અને અભિવ્યક્તિઓની સખત નિંદા કરી અને કહ્યું કે, આતંકવાદ સામે લડાઈમાં ડબલ સ્ટાન્ડર્ડ અસ્વીકાર્ય છે. તેણે આતંરરાષ્ટ્રીય સમુદાયથી આતંકવાઓની સરહદ પાર ગતિવિધિઓ સહિત આતંકવાદનો મુકાબલો કરવાની અપીલ કરી.
ભારતે આતંકવાદ સામેની લડાઈમાં એકતા પર ભાર મૂક્યો
SCOનું સંયુક્ત ઘોષણાપત્ર આવ્યાના થોડા સમય પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ પર પોતાની વાત મૂકી હતી. મોદીએ કહ્યું કે, આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ મોટા પડકારો છે. આતંકવાદ માત્ર કોઈ દેશની સુરક્ષા જ નથી, પરંતુ સમગ્ર માનવતા માટે એક સામાન્ય પડકાર છે. કોઈ પણ દેશ, કોઈ સમાજ, કોઈ નાગરિક તેનાથી પોતાને સુરક્ષિત માની શકતો નથી. તેથી જ ભારતે આતંકવાદ સામેની લડાઈમાં એકતા પર ભાર મૂક્યો છે.
મોદીએ કહ્યું કે, છેલ્લા 24 વર્ષોમાં SCOનું સમગ્ર યુરેશિયન ક્ષેત્રને વિસ્તૃત પરિવાર સાથે જોડવામાં ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ભારતે એક સક્રિય સદસ્ય તરીકે હંમેશા રચનાત્મક અને સકારાત્મક ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું કે, SCO અંગે ભારતની વિચારસરણી અને નીતિ ત્રણ મુખ્ય સ્તંભો પર આધારિત છે:
S- સિક્યુરિટી
C- કનેક્ટિવિટી
O- opportunity કે અવસર
ભારત છેલ્લા 4 દાયકાથી આતંકવાદ સહન કરી રહ્યું
પીએમએ આગળ કહ્યું કે, ભારત છેલ્લા 4 દાયકાથી આતંકવાદ સહન કરી રહ્યું છે. ઘણી માતાઓએ પોતાના બાળકો ગુમાવ્યા છે અને ઘણા બાળકો અનાથ બની ગયા છે. તાજેતરમાં જ આપણે પહલગામમાં આતંકવાદનું ખૂબ જ ઘૃણાસ્પદ સ્વરૂપ જોયું. આ હુમલો માત્ર ભારતના અંતરાત્મા પર જ આઘાત નહોતો, પરંતુ તે દરેક દેશ અને માનવતામાં વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિ માટે ખુલ્લો પડકાર હતો.
આ પણ વાંચો: PM મોદી, પુતિન અને જિનપિંગની મુલાકાત બાદ અમેરિકાના સૂર બદલાયા! ભારત માટે જુઓ શું કહ્યું
મોદીએ કહ્યું કે, આવી સ્થિતિમાં એ સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે, શું કેટલાક દેશો દ્વારા આતંકવાદને ખુલ્લેઆમ સમર્થન આપણને સ્વીકાર્ય છે? આપણે સ્પષ્ટપણે અને એક સ્વરમાં કહેવું પડશે કે આતંકવાદ પર કોઈ ડબલ સ્ટાન્ડર્ડ સ્વીકાર્ય નથી. આપણે સાથે મળીને આતંકવાદનો દરેક રંગમાં અને દરેક રૂપમાં વિરોધ કરવો પડશે. આ માનવતા પ્રત્યે આપણી જવાબદારી છે.


