ભારતના વિરોધ બાદ બાંગ્લાદેશની અક્કલ ઠેકાણે આવી! સત્યજીત રેના પૈતૃક આવાસનું ડિમોલિશન અટકાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Satyajit Ray Ancestral Home: હાલમાં જ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં સ્થાનિક વહીવટી તંત્રે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સત્યજીત રેના પૂર્વજોના ઘરને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. ભારત સરકારે બાંગ્લાદેશ સરકારને અપીલ કરી હતી કે, આ ઘરને મ્યુઝિયમમાં ફેરવી દેવું જોઈએ અને તે માટે અમે મદદ કરવા તૈયાર છીએ. આમ છતાં, બાંગ્લાદેશ સરકારે આ ઘરને તોડી પાડવાનું શરૂ કરી દીધું. બીજી તરફ, ભારતે પણ વિરોધ કરવાનું ચાલુ રાખ્યું. છેવટે ભારત અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના વિરોધ બાદ બાંગ્લાદેશ સરકારે આ મકાનનું ડિમોલિશન અટકાવી દીધું છે. હવે એક સમિતિની રચના કરાઈ છે, જે આ ઐતિહાસિક મકાનનું નવીનીકરણ કેવી રીતે કરવું અને તેને કેવી રીતે સાચવવું તે નક્કી કરશે.
સત્યજીત રેના પૈતૃક આવાસના ડિમોલિશનનો વિરોધ
ભારતના વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશ સરકારના નિર્ણયનો વિરોધ કરતા કહ્યું હતું કે, 'અમને ખૂબ જ દુઃખ છે કે મહાન ફિલ્મ નિર્માતા અને સાહિત્યકાર સત્યજીત રેના દાદા ઉપેન્દ્રકિશોર રે ચૌધરી સાથે સંકળાયેલા ઐતિહાસિક પૂર્વજોના ઘરને તોડી પાડવામાં આવી રહ્યું છે. આ ઘર બંગાળી સાંસ્કૃતિક પુનર્જાગરણ સાથે જોડાયેલું ઐતિહાસિક સ્થળ છે. આ ઈમારતનો જીર્ણોદ્ધાર થઈ શકે છે. આ સાથે તેને સહિયારા વારસાને દર્શાવતા સાહિત્યિક સંગ્રહાલયમાં રૂપાંતરિત કરી શકાય છે. આ માટે અમે તમને મદદ કરવા તૈયાર છીએ.’
આ ઈમારત પ્રસિદ્ધ બાળ સાહિત્યકાર અને પ્રકાશક ઉપેન્દ્ર કિશોર રે ચૌધરીનું પૈતૃક ઘર છે, જે ઢાકાના મૈમનસિંહ શહેરમાં સ્થિત છે. ઉપેન્દ્ર કિશોર, કવિ સુકુમાર રેના પિતા અને મહાન ફિલ્મ નિર્માતા સત્યજીત રે ના દાદા હતા. હાલ આ સંપત્તિ બાંગ્લાદેશ સરકારની માલિકીની છે. આ ઘર સાથે બંગાળની સન્માનિત સાહિત્યિક અને સાંસ્કૃતિક હસ્તીઓની ત્રણ પેઢી જોડાયેલી છે.
બાંગ્લાદેશ સરકારનું શું કહેવું હતું?
બાંગ્લાદેશ સરકારનું કહેવું હતું કે, આ ઘર જર્જરિત હાલતમાં હતું અને લગભગ એક દાયકાથી ખંડેર હાલતમાં પડ્યું હતું. પહેલા આ ઈમારતમાં મૈમનસિંહ શિશુ એકેડેમી હતી, પરંતુ તેને બંધ કરી દેવાઈ હતી. એક બાંગ્લાદેશી અધિકારીએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, નવી યોજનામાં શિશુ એકેડેમીનું ફરી સંચાલન કરવા માટે એ જગ્યા પર નવી ઈમારતના નિર્માણ કરવાનો પ્રસ્તાવ છે. આ માટે જૂની ઈમારતને ધ્વસ્ત કરાશે.
પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની અપીલ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે, 'આ સમાચાર ખૂબ જ પીડાદાયક છે. અમારી અપીલ છે કે, બધા જાગૃત લોકો અને બાંગ્લાદેશ સરકાર આ વારસાને બચાવવા માટે એક સાથે આવે.' આ અંગે બાંગ્લાદેશ સરકારે એવું પણ કહ્યું હતું કે, આ ઇમારત ખૂબ જ જર્જરિત સ્થિતિમાં છે અને તે લોકો માટે જોખમી બની શકે છે. તેથી તેને દૂર કરીને ત્યાં એક નવી ઇમારત બનાવીને સાંસ્કૃતિક કેન્દ્ર બનાવવાની અમારી યોજના છે.
સત્યજીત રે દુનિયામાં મહાન ફિલ્મ સર્જક તરીકે જાણીતા
સત્યજીત રે ને વિશ્વ સિનેમાના મોટા ફિલ્મકારોમાંથી એક માનવામાં આવે છે. તેઓ ફિલ્મ ડિરેક્ટર હોવાની સાથોસાથ લેખક, સંગીતકાર અને ચિત્રકાર પણ હતા. બાંગ્લાદેશમાં સત્યજીત રેનું પૈતૃક ઘર લગભગ 100 વર્ષ પહેલાં તેમના દાદા ઉપેન્દ્ર કિશોર રે અને તેમના પૂર્વજોએ બનાવ્યું હતું. વર્ષ 1947માં ભારતના ભાગલા બાદ આ સંપત્તિ તત્કાલીન પૂર્વ પાકિસ્તાનને આધીન થઈ ગઈ હતી. પૂર્વ પાકિસ્તાન ત્યારે પાકિસ્તાનનો ભાગ હતો. ભારત સાથે 1971ના યુદ્ધમાં પાકિસ્તાનની હાર બાદ પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ રૂપે નવો દેશ બન્યો હતો.










