સ્વીડનમાં કુરાન સળગાવનાર સલવાન મોમિકાનુ નોર્વેમાં મોત? સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા
Updated: Apr 3rd, 2024
Image Source: Twitter
સ્વીડનમાં કુરાન સળગાવીને કરોડો લોકોનો રોષ વહોરી લેનાર સલવાન મોમિકાનુ નોર્વેમાં મોત થયુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
સલવાનને ગત વર્ષે જૂન મહિનામાં આઝાદીની અભિવ્યક્તિના નામે સ્વીડનમાં કુરાનની એક પ્રતને રાજધાની સ્ટોકહોમની સૌથી મોટી મસ્જિદની સામે સળગાવી દીધી હતી. તેના આ કૃત્યનો તેના એક મિત્રે વિડિયો પણ બનાવ્યો હતો. જોકે સલવાનની સામે સ્વીડન સહિત દુનિયાભરમાં વિવિધ જગ્યાએ વિરોધ થયો હતો અને તેને આ પ્રકારની હરકત કરવાની મંજૂરી આપવા બદલ સ્વીડનની સરકારની પણ ભારે ટીકા મુસ્લિમ દેશોએ કરી હતી.
સલવાન મોમિકાને 2021માં સ્વીડનની સરકારે પોતાના દેશમાં શરણ આપ્યુ હતુ. આ પહેલા સલવાન 2018માં ઈરાક છોડીને ભાગ્યો હતો. ઈરાકમાં તે એક હથિયારીધારી જૂથનુ નેતૃત્વ કરતો હતો. પોતાને નાસ્તિક ગણાવનાર સલવાને સ્વીડનમાં ઘણી વખત ઈસ્લામ સામે દેખાવો કર્યા હતા.
જોકે કુરાનની પ્રત સળગાવવાની ઘટના બાદ તે સ્વીડન છોડીને નોર્વે જતો રહ્યો હતો. હવે એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, 37 વર્ષના એક વ્યક્તિનુ મોત થયુ છે અને તે સલવાન મોમિકા હોવાનુ મનાય છે. એ પછી મંગળવારે આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહી હતી.
નોર્વેના અધિકારીઓએ આ મીડિયા રિપોર્ટને સમર્થન પણ નથી આપ્યુ અને તેનુ ખંડન પણ નથી કર્યુ. દરમિયાન તેના મોતની ખબર આપનાર રેડિયો જેનોઆએ સોશિયલ મીડિયા પરથી તેને લગતી પોસ્ટ બાદમાં હટાવી લીધી છે.