- રેન્જ 5,000 કિ.મી., વૉર-હેડ 'એટમિક' સમગ્ર યુરોપ અને અમેરિકાના પશ્ચિમ તટ સુધી પ્રહાર કરી શકે છે
નવી દિલ્હી : રશિયા યુક્રેન યુદ્ધ તીવ્ર અને તીવ્ર બનતું જાય છે. પશ્ચિમના દેશોની અનુમતિ પછી યુક્રેને તેના શસ્ત્રો રશિયા ઉપર વાપરવાનું શરું કરી દીધું છે. તેનો જવાબ રશિયા તેના ખતરનાક શસ્ત્રોથી આપે છે. યુક્રેન કહે છે કે, રશિયાએ તેની ઉપર ઇન્ટર- કોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલ્સ છોડયા છે પરંતુ, તે હુમલા પછી પ્રમુખ પુતિને ટી.વી. પર જનતા જોગ કરેલા સંબોધનમાં કહ્યું કે, રશિયા- સેનાએ તદ્દન નવા શસ્ત્ર 'ઑરેશ્નિક' મિસાઇલ દ્વારા હુમલો કર્યો હતો. આ મિસાઇલની ગતિ ધ્વનિ કરતાં ૧૦ ગણી છ ેેતેને ઇન્ટરસેપ્ટ કરવું અસંભવ છે તેટલું જ નહીં પરંતુ 'એટમિક વૉરહેડ' પણ ધરાવે છે. તેની પ્રહાર મર્યાદા ૫૦૦૦ કી.મી.ની છે.
આ સાથે તેઓએ કહ્યું કે, 'વળતા પ્રહારમાં જો આ મિસાઇલ વાપરવામાં આવશે તો તેને ઇન્ટરસેપ્ટ કરવું (વચ્ચેથી તોડી પાડવું) અસંભવ છે તે રેડાર પર ઝડપાઈ તે પહેલાં તો તે પસાર થઈ જઈ શકે તેમ છે.' આ મિસાઇલ્સ હવે રશિયન સેનાને સોંપવામાં આવ્યા છે તે સમગ્ર યુરોપને આવરી લઈ શકે તેમ છે. તેમજ, રશિયાના પૂર્વ તટેથી વહેતા મુકાયેલા આ મિસાઇલ્સ અમેરિકાના પશ્ચિમ તટને પણ આવરી લઈ શકે તેમ છે.
પ્રમુખ પુતિને આગળ કહ્યું કે, ૨૧ નવેમ્બરે યુક્રેન રશિયાની ભૂમિ ઉપર અમેરિકા અને ઇંગ્લેન્ડે આપેલા મિસાઇલ્સથી હુમલો કર્યો હતો. તેના જવાબમાં આપણે યુક્રેનનાં ડેનિપ્રો ઉપર આપણાં ઑરેશ્નિક મિસાઇલથી હુમલો કર્યો હતો. આપણી સેનાએ ડેનિપ્રોમાં રહેલા તે સ્થળોને નિશાન બનાવ્યા કે જ્યાંથી યુક્રેનની સેનાને સહાય કરવામાં આવે છે.
રશિયન સૈન્યના બ્લોગરે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું હતું કે, સૈન્ય વિશેષજ્ઞા એનેનોલાઇ મારવિયુકે પણ આ વિધાનોની પુષ્ટિ કરતા કહ્યું હતું કે, તે 'પરમાણુ શસ્ત્ર' પણ લઈ જઈ શકે તેવાં છે.
બીજી તરફ પેન્ટાગોને પણ જણાવ્યું હતું કે, યુક્રેન પર થયેલા હુમલામાં આઇસીબીએમ વપરાયા ન હતા કોઈ અન્ય શસ્ત્ર જ વપરાયા હતા તે મિસાઇલ મૂળ આર.એસ.- ૨૬ની રચના આધારિત હતા.


