રશિયા-યુક્રેન, ઈઝરાયલ-ગાઝા વચ્ચે આક્રમક હુમલાનો દોર, મહાયુદ્ધના ભણકારાંથી દુનિયા ચિંતિત
- ઈઝરાયલ અને હમાસ વચ્ચે કતારમાં શાંતિ મંત્રણા પર સમગ્ર વિશ્વની નજર
- હુમલા હવે સમગ્ર ગાઝા પટ્ટી પર કબજો મેળવ્યા પછી જ બંધ થશે : ઈઝરાયલ
- ઝેલેન્સ્કી સાથે શાંતિ વાટાઘાટો નિષ્ફળ જતાં રશિયન પ્રમુખ પુતિન યુદ્ધના રસ્તે
- પુતિન અને ઝેલેન્સ્કી સાથે વાતચીતની અમેરિકન પ્રમુખ ટ્રમ્પની તૈયારી
Russia vs Ukrain and Israel vs Hamas War Updates | રશિયા અને ઈઝરાયલે પોતે મહાસત્તા હોવાની ધોંસ જમાવવા શરૂ કરેલા યુદ્ધો હવે અતિ ગંભીર સ્વરૂપ લઈ રહ્યા છે. ભારત, અમેરિકા સહિત વિશ્વભરના દેશોએ રશિયાના વડા પુતિન અને ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુને શાંત પડવા અનેક વખત સમજાવ્યા, સાથે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને પણ નમતું જોખવા સહમત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આ બધી કવાયતનો કોઈ અર્થ સર્યો હોય તેવું લાગતું નથી. ઈઝરાયલ અને હમાસ વચ્ચે એક તબક્કે યુદ્ધવિરામ થયો હતો, જે કેટલાક દિવસ માંડ ચાલ્યો. ત્યાર પછી ઈઝરાયલે ફરી એક વખત ગાઝાને ઘમરોળતા હવાઈ હુમલા શરૂ કરી દીધા હતા.
હવે ઈઝરાયલ ગાઝામાંથી પેલેસ્ટાઈનના લોકોને હાંકી કાઢવા માગે છે, જેના ભાગરૂપે તેણે હવે નવેસરથી જમીની હુમલાની તૈયારી શરૂ કરી દીધી છે. બીજીબાજુ અમેરિકન પ્રમુખ ટ્રમ્પની મધ્યસ્થીથી ત્રણ વર્ષમાં પહેલી વખત રશિયન પ્રમુખ પુતિને શાંતિ વાટાઘાટો માટે તૈયારી દર્શાવી. ઈસ્તંબુલમાં યુક્રેન અને રશિયાના પ્રતિનિધિઓની બેઠક પણ થઈ, પરંતુ આ બેઠક બે કલાક પણ ના ચાલી. તેના બીજા જ દિવસે પુતિને યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો હતો. એટલું જ નહીં પુતિને એવો હુંકાર પણ ભણ્યો છે કે તેમની પાસે આખું યુક્રેન સાફ કરી નાંખવા જેટલો દારૂગોળો પડયો છે. ઈઝરાયલ અને રશિયાના આ વલણને જોતાં દુનિયામાં મહાયુદ્ધના ભણકારા વાગી રહ્યા હોવાનું માનીએ તો એમાં કંઈ ખોટું નથી.
- ઈઝરાયલની ગાઝા પર એરસ્ટ્રાઈકઃ બે દિવસમાં બાળકો સહિત 250નાં મોત
- ગાઝા પર હવે ટેન્કો સાથે ગ્રાઉન્ડ એટેકની ઈઝરાયલની તૈયારી
- હમાસના પૂર્વ વડા યાહ્યા સિનવારનો ભાઈ મુહમ્મદ સિનવાર માર્યો ગયો
હમાસનો ખાત્મો બોલાવી દેવાની હાકલ કરીને યુદ્ધે ચઢેલા ઈઝરાયલે શનિવાર-રવિવારની રાતે ગાઝા પટ્ટી પર હવાઈ હુમલો કરતા અનેક બાળકો સહિત 103 લોકોનાં મોત નીપજ્યાં હતા. ઈઝરાયલે બે દિવસમાં બાળકો અને મહિલાઓ સહિત 250થી વધુ લોકોનો ભોગ લીધો હતો. ઈઝરાયલે હવાઈ હુમલામાં સામાન્ય નાગરિકો જ નહીં ઈજાગ્રસ્તોની સારવાર કરી રહેલી હોસ્પિટલોને પણ નિશાન બનાવી હતી. ઈઝરાયલના આ વિનાશ સામે દુનિયા અંધ અને મૂકબધીર બનીને જોઈ રહી છે ત્યારે ઈઝરાયલે હવે નવેસરથી ટેન્કો સાથે જમીની સ્તર પર સૈન્ય કાર્યવાહીની તૈયારી શરૂ કરી છે. ઈઝરાયલના હવાઈ હુમલા એટલા ઘાતક હતા કે સ્થાનિક તંત્રે ઉત્તરીય ગાઝાની મુખ્ય હોસ્પિટલ બંધ કરી દેવાની ફરજ પડી હતી.
ગાઝાના દક્ષિણી શહેર ખાન યુનિસમાં ઈઝરાયલે શનિવારે મોડી રાત પછી કરેલા હવાઈ હુમલામાં 48થી વધુ લોકોનાં મોત થઈ ગયા હતા, જેમાં 18 બાળકો અને 13 મહિલાઓનો સમાવેશ થાય છે. નાસિર હોસ્પિટલના અહેવાલ મુજબ અનેક હુમલાઓના કારણે વિસ્થાપિત થયેલા લોકો માટે બનાવાયેલા રેફ્યુજી કેમ્પ્સને પણ ઈઝરાયલના સૈનિકોએ નિશાન બનાવ્યા હતા.
ઉત્તર ગાઝાના જબાલિયા વિસ્થાપિત કેમ્પમાં થયેલા હુમલામાં એક જ પરિવારના નવ સભ્યોનાં મોત નીપજ્યાં હતા જ્યારે અન્ય એક હુમલામાં 10 લોકો માર્યા ગયા હતા, જેમાં 7 બાળકો અને એક મહિલાનો સમાવેશ થાય છે. મીડિયા અહેવાલ મુજબ ઈઝરાયલના હુમલાઓના કારણે હોસ્પિટલો બંધ કરવાની ફરજ પડી છે.
ઈઝરાયલના સૈન્યે આ હુમલાઓ અંગે હાલ કોઈ ટીપ્પણી નથી કરી, પરંતુ તેણે દલીલ કરી છે કે હમાસના આતંકી જૂથના કારણે નાગરિકોને નુકસાન થયા છે. જોકે, ઈઝરાયલના નિવેદન મુજબ તેણે છેલ્લા કેટલાક સપ્તાહમાં 670થી વધુ ટાર્ગેટ્સ તોડી પાડયા છે અને હમાસના અનેક આતંકીઓને ઠાર કર્યા છે. આ સાથે ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાટ્ઝે કહ્યું કે, તેના હવાઈ હુમલાઓમાં હમાસના માર્યા ગયેલા પ્રમુખ યાહ્યા સિનવારના નાના ભાઈ મુહમ્મદ સિનવારનું પણ હવાઈ હુમલામાં મોત થયું હોવાનું મનાય છે. બધા સંકેતોના આધારે મુહમ્મદ સિનવારનું મોત ખાન યુનિસ સ્થિત યુરોપીય હોસ્પિટલના પરિસરમાં કરાયેલા હુમલામાં થયું હોવાની શક્યતા છે. ઈઝરાયલે યુરોપિય હોસ્પિટલની નીચે બનેલા અન્ડરગ્રાઉન્ડ સ્ટ્રક્ચરને નિશાન બનાવ્યું હોવાનો દાવો કર્યો છે. ગયા જુલાઈમાં હમાસના ટોચના કમાન્ડર મુહમ્મદ દેફની હત્યા પછી મુહમ્મદ સિનવારે આતંકી જૂથ હમાસની સૈન્ય શાખાનું સુકાન સંભાળ્યું હોવાનું મનાતું હતું.
ઈઝરાયલના હુમલાઓ વચ્ચે ગાઝાની ઉત્તરે સ્થિત ઈન્ડોનેશિયન હોસ્પિટલ સુરક્ષાના કારણોથી બંધ કરવી પડી હતી. ગાઝામાં કમાલ અદવન અને બૈત હનૂન જેવી હોસ્પિટલો બંધ થયા પછી ગાઝામાં આ હોસ્પિટલ જ સૌથી મુખ્ય મેડિકલ સુવિધા હતી. ઈઝરાયલે હવાઈ હુમલા પછી હવે નવેસરથી ટેન્કો સાથે જમીની સ્તર પર સૈન્ય ઓપરેશન શરૂ કરવાની તૈયારી કરી છે.
- રશિયાનો યુક્રેન પર ત્રણ વર્ષનો સૌથી મોટો હુમલો, 273 ડ્રોન છોડયા
- પરમાણુ હુમલા વગર જ યુક્રેનનો સફાયો કરી શકીએ એટલા હથિયારો અને સૈનિકો અમારી પાસે છે : પુતિનની ઝેલેન્સ્કીને ધમકી
તાજેતરમાં ઇસ્તંબુલમાં રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિની વાટાઘાટો થઇ હતી જેમાં કોઇ નિરાકરણ ના આવ્યું અને તે નિષ્ફળ નીવડી. જેના બીજા જ દિવસે રશિયાએ યુક્રેન પર એક સાથે 273 ડ્રોન છોડયા હતા. જેમાં યુક્રેનના અનેક શહેરોનો કચ્ચરઘાણ વાળી દેવાયો હતો. જોકે આટલા મોટા હુમલામાં કોઇ મોટી જાનહાની સામે નથી આવી. પરંતુ એક મહિલાનું મોત નિપજ્યું હતું અને અનેક લોકો ઘવાયા હતા. હાલ રશિયા અને યુક્રેન વચ્ચે ફરી ઘર્ષણ શરૂ થઇ ગયું છે. એવામાં પુતિન પાછીપાની કરવા તૈયાર નથી, પુતિને આ હુમલાઓ વચ્ચે ધમકી આપી છે કે અમારી પાસે એટલા હથિયારો-બોમ્બ અને સૈનિકો છે કે યુક્રેનનો સફાયો થઇ જશે. પુતિને સાથે એમ પણ કહ્યું હતું કે અનેક વખત પરમાણુ હથિયારોનો ઉપયોગ થાય તેવા પ્રયાસો માટે અમારા પર દબાણ થયું હતું જોકે તેમ છતા અમે હજુ સુધી પરમાણુ હથિયારોનો ઉપયોગ નથી કર્યો. રશિયન મીડિયા સાથેના ઇન્ટરવ્યૂમાં પુતિને આ દાવો કર્યો છે.
રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપિત કરવામાં નિષ્ફળ રહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ફરી એક વખત રશિયન પ્રમુખ પુતિન સાથે વાતચીત કરવા જઇ રહ્યા છે. ટ્રમ્પ પુતિનને ફોન કરે તે પહેલા યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી રોમમાં યુરોપિયન યુનિયન અને અમેરિકાના નેતાઓને મળ્યા હતા. ઝેલેન્સ્કીએ અમેરિકાના ઉપપ્રમુખ જેડી વિન્સે અને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો સાથે વાતચીત કરી હતી. જર્મન ચાન્સેલર ફ્રેન્ડરિચ મર્ઝે કહ્યું હતું કે આ ભયાનક યુદ્ધના અંત માટે યુરોપિયન અને અમેરિકન સાથે મળીને કામ કરશે. આ પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે તે સોમવાર સુધીમાં પુતિન સાથે ફોન પર વાતચીત કરવાનું આયોજન કરી રહ્યા છે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે રશિયાએ યુક્રેન પર સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે. રશિયાએ જે 273 ડ્રોન છોડયા તેમાંથી 83 જેટલા જ ડ્રોન યુક્રેન હવામાં તોડી શક્યું હતું જ્યારે અન્ય ડ્રોને ભારે વિનાશ વેર્યો છે.