રશિયા યુક્રેન પર પરમાણુ હુમલો કરવાની તૈયારીમાં, બ્રિટિશ કર્નલના દાવાથી દુનિયાના દેશો ચિંતિત
Russia vs Ukrain War Updates : બ્રિટિશ કર્નલ રિચર્ડ કેમ્પે એક ગંભીર ચેતવણી આપી છે કે રશિયા યુક્રેન પર ટેકટિકલ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે. તેમા પણ ખાસ કરીને યુક્રેનના એરફિલ્ડને ટાર્ગેટ બનાવીને આ પ્રકારનો હુમલો કરી શકે છે. કેમ્પનું કહેવું છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન તેમની સત્તાનું પ્રદર્શન કરવા અને યુક્રેનના પ્રતિકારને તોડવા માટે આ પગલું ઉઠાવી શકે છે.
કર્નલ કેમ્પે જણાવ્યું હતું કે આ ડરામણી હકીકત છે કે આ રણનીતિ કામ કરી શકે છે. વિશ્વના નેતાઓ યુક્રેનને લઈને પરમાણુ શસ્ત્રોનો જવાબ નહીં આપે. તેમનું માનવું છે કે પુતિન આ પ્રકારનું પગલું ઉઠાવીને તેમની તાકાત સાબિત કરવા માંગે છે. તે યુક્રેન હાર સ્વીકારી લે તે માટે તેને લાચાર બનાવવા માંગે છે.
કેમ્પનું કહેવું છે કે પુતિન માટે આ જોખમી નિર્ણય હોઈ શકે છે, પરંતુ યુદ્ધમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા તે આ નિર્ણય લઈ શકે છે. રશિયા-યુક્રેન વચ્ચે 2022થી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકો માર્યા ગયા છે. લાખો લોકો પોતાના ઘરોમાંથી ભાગી ગયા છે. તાજેતરમાં યુક્રેને રશિયાના ઘણા લશ્કરી સ્થળો પર હુમલો કરતાં રશિયા નારાજ છે. તેમા પણ યુક્રેને અમેરિકા પાસેથી મળેલા લાંબા અંતરના મિસાઇલોનો ઉપયોગ રશિયાની જમીન પર કર્યો છે, જેને રશિયા પોતાની સામે મોટો પડકાર માને છે.
રશિયા પાસે વિશ્વનો સૌથી મોટો પરમાણુ શસ્ત્ર ભંડાર છે. તેમા કુલ 5889 શસ્ત્રો છે. તેમા 1674 ગોઠવેલા છે અને બાકીના રિઝર્વમાં છે. અમેરિકા પાસે 5244 પરમાણુ શસ્ત્ર છે. આ સિવાય બ્રિટન પાસે ૨૨૫ પરમાણુ શસ્ત્ર છે. રશિયાએ તાજેતરમાં તેની પરમાણુ નીતિ બદલી છે. પુતિને 19 નવેમ્બર 2024ના રોજ નવો નિયમ બનાવ્યો. તેમા કહેવામાં આવ્યું છે કે જો કોઈ પરમાણુશસ્ત્ર વગરનો દેશ પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશ એટલે કે અમેરિકા જેવા દેશની મદદથી હુમલો કરે છે તે રશિયા વળતા જવાબરૂપે પરમાણુ હુમલો કરી શકે છે. આ પહેલા પણ રશિયા અનેક વખત પરમાણુ હુમલાની ધમકી આપી ચૂક્યું છે. 2022માં રશિયન ટીવી ચેનલોએ લંડન, પેરિસ અને બર્લિન પર પરમાણુ હુમલાની વાત કરી હતી.
આ સંભાવના સામે પશ્ચિમી દેશોએ રશિયાને ચેતવણી આપી છે કે પરમાણુ હુમલાના ગંભીર પરિણામનો સામનો કરવો પડશે. બ્રિટન અને અમેરિકાએ યુક્રેનને શસ્ત્રો પૂરા પાડવાનું જારી રાખ્યું છે. રશિયાએ યુક્રેન પર ભારે હુમલા કરવાનું જારી રાખતા 216 ડ્રોન અને મિસાઇલો સાથે હુમલો કર્યો છે. રશિયાના ખાર્કિવ પર કરવામાં આવેલા હુમલામાં ત્રણના મોત થયા છે અને 21ને ઇજા પહોંચી છે. યુક્રેનને એર ડિફેન્સ સિસ્ટમે 87 ડ્રોન અને સાત મિસાઇલ તોડી પાડયા હતા. રશિયાએ છેલ્લા કેટલાક અઠવાડિયાથી હુમલા તીવ્ર બનાવતા શાંતિની રહીસહી આશા પણ પૂરી થઈ ગઈ છે. તેમા પણ યુક્રેનના ડ્રોન હુમલાએ રશિયાની કિરકીરી કરતાં હવે રશિયા તેના પર ઘાતક હુમલો કરવા આતુર છે. આ ઉપરાંત યુક્રેનના ડોનેત્સ્ક, દનિપ્રોપેટ્રોવ્સ્ક, ઓડેસા અને ટેર્નોપિલ શહેરમાં પણ રશિયાએ હવાઈહુમલા કર્યા હતા.
રશિયા-યુક્રેન વચ્ચે સૈનિકોના મૃતદેહોની આપલે ઘોંચમાં પડી
રશિયા અને યુક્રેન બંને એકબીજા પર યુદ્ધમાં માર્યા ગયેલા છ હજારથી વધુ સૈનિકોના મૃતદેહોના આયોજનને જોખમમાં મૂકવાનો આરોપ લગાવ્યો હતો.તેઓ ઇસ્તંબુલમાં સોમવારે કરવામાં આવેલી મંત્રણામાં તેના માટે સંમત થયા હતા. આ મંત્રણામાં જો કે યુદ્ધનો અંત લાવવાના મુદ્દે કોઈ સંમતિ સધાઈ ન હતી. પુતિનના સહાયક વ્લાડીમીર મેડિન્સ્કીએ જણાવ્યું હતું કે કીવે છેલ્લી મિનિટે આ મૃતદેહોને બદલવાનું અટકાવ્યું છે. ટેલિગ્રામ પોસ્ટમાં મેડિન્સ્કીએ જણાવ્યું હતું કે યુક્રેનના લશ્કરી સૈનિકોના 1200 મૃતદેહો સંમત થયેલા આપલેના સ્થળે પહોંચ્યા ત્યારે આ સમાચાર આવ્યા હતા. તેના જવાબમાં યુક્રેને જણાવ્યું હતું કે રશિયા ગંદી રમતો રમી રહ્યુ છે અને હકીકતો સાથે ચેડાં કરી રહ્યું છે. યુક્રેનના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે મૃતદેહોની આપલે માટે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી.