Get The App

રશિયાએ યુક્રેન પર 147 ડ્રોન છોડયા, 7ના મોત ઇઝરાયેલે ગાઝામાં વધુ 30નો ભોગ લીધો

Updated: Mar 23rd, 2025

GS TEAM

Google News
Google News
રશિયાએ યુક્રેન પર 147 ડ્રોન છોડયા, 7ના મોત ઇઝરાયેલે ગાઝામાં વધુ 30નો ભોગ લીધો 1 - image

- રશિયા-યુક્રેન અને ઇઝરાયેલ-હમાસ યુદ્ધ રોકવાની ટ્રમ્પની ડંફાશો કાગળ પર રહી ગઇ

- ગાઝામાં ઇઝરાયેલના અત્યાર સુધીના હુમલામાં કુલ ૫૦ હજાર લોકોનો ભોગ લેવાયો, ખાલી ના કરે તો સંપૂર્ણ સફાયા માટે અભિયાન શરૂ

વોશિંગ્ટન/તેલ અવિવ/કિવ: બીજી  વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે  રશિયા-યુક્રેન અને ઇઝરાયેલ-ગાઝા યુદ્ધ અટકાવવા દબાણ વધાર્યું હતું, જોકે ટ્રમ્પના આ દબાણની હાલ યુદ્ધ લડી રહેલા દેશો પર કોઇ જ અસર નથી જોવા મળી રહી. રશિયાએ યુક્રેન પર ફરી ડ્રોન હુમલો કર્યો હતો જેમાં સાત લોકો માર્યા ગયા હતા. જ્યારે ઇઝરાયેલ દ્વારા પણ ગાઝામાં હવાઇ હુમલા કરાયા હતા જેમાં ૩૦થી વધુ પેલેસ્ટાઇની નાગરિકો માર્યા ગયા હતા.  

યુક્રેન પર રશિયાનો સપ્તાહમાં ૧૫૮૦ બોમ્બ, ૧૧૦૦ ડ્રોન અને ૧૫ મિસાઇલોનો મારો ઃ ઝેલેન્સ્કી

રશિયાએ શનિવારે આખી રાત યુક્રેન પર ૧૪૭ જેટલા ડ્રોન છોડયા હતા, જેમાંથી યુક્રેને ૯૭ ડ્રોન હવામાં તોડી પાડયા હતા, જ્યારે અન્ય ૨૫ ડ્રોન ટાર્ગેટ સુધી પહોંચ્યા નહોતા અને ખારકીવ, સુમી, ચેરનિહિવ, ઓદેડા, ડોનેટસક પ્રાંતમાં જઇને પડયા હતા. જેમાં પાંચ વર્ષના બાળક સહિત ત્રણ લોકો માર્યા ગયા હતા. વહેલી સવારે યુક્રેનની રાજધાની કીવમાં સાઇરન વાગ્યા હતા. એક સ્થાનિક નાગરિક ડીમીટ્રો ઝેપેડન્યાએ કહ્યું હતું કે રશિયા ખરેખર શાંતિ કરારોનું પાલન કરી રહ્યું છે તેમ નથી લાગી રહ્યું. રશિયા સાથે શાંતિ કરારો કરવાનો હવે કોઇ મતલબ નથી રહ્યો. અન્ય કેટલાક સ્થળોએ પણ રશિયાના હુમલામાં વધુ ચાર લોકો સાથે સાત લોકોના મોત થયા હતા. 

આ હુમલા બાદ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે માત્ર એક સપ્તાહમાં રશિયાએ યુક્રેન પર ૧૫૮૦ ગાઇડેડ બોમ્બ છોડયા, ૧૧૦૦ ડ્રોનથી એરસ્ટ્રાઇક કરી, નાગરિકો પર ૧૫ જેટલી મિસાઇલો છોડવામાં આવી. બીજી તરફ રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે યુક્રેને અમારા પર ૫૯ ડ્રોન છોડયા હતા જેનો અમે નાશ કર્યો છે. રશિયન સરહદી વિસ્તારમાં એક મહિલાનું પણ મોત થયું હતું. રશિયાનો દાવો છે કે યુક્રેને પણ હુમલો કર્યો હતો જ્યારે યુક્રેને દાવો કર્યો છે કે રશિયાએ જ હુમલો કર્યો હતો અને તેમાં સાત નાગરિકોના મોત નિપજ્યા છે જ્યારે ૧૦થી વધુ ઘવાયા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મળીને આ બન્ને દેશો શાંતિ કરારો માટે સહમત થયા હતા ત્યારે હવે સામસામે હુમલા કરી રહ્યા છે તેથી આ શાંતિ કરારો અને યુદ્ધ રોકવાની ડોનાલ્ડ ટ્રમ્પની ડંફાશો માત્ર કાગળ પર રહી ગઇ છે. 

બીજી તરફ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે પણ શાંતિ કરારો થયા હતા જેની પણ હાલ કોઇ જ અસર નથી જોવા મળી રહી. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે ઇઝરાયેલ દ્વારા રાતભર હુમલા કરાયા હતા જેમાં ૩૦થી વધુ નાગરિકો માર્યા ગયા છે. જ્યારે ઇઝરાયેલે જ્યારથી હુમલા શરૂ કર્યા છે ત્યારથી અત્યાર સુધી પેલેસ્ટાઇનના ૫૦ હજારથી વધુ લોકો માર્યા ગયા છે. ઇઝરાયેલે તાજેતરમાં જ શાંતિ કરારોને તોડીને આશ્ચર્યજનક રીતે ગાઝા પર હુમલા શરૂ કરી દીધા છે. સાથે જ દાવો કરી રહ્યું છે કે અમે આ હુમલામાં અનેક આતંકીઓનો ખાતમો કર્યો છે. ઇઝરાયેલ હવે ગાઝામાંથી પેલેસ્ટાઇનના નાગરિકોને હટાવવા આ હુમલા કરી રહ્યું હોવાના અહેવાલો છે. જ્યારે પેલેસ્ટાઇનના નાગરિકો ગાઝા ખાલી કરવા તૈયાર નથી. આ સ્થિતિ વચ્ચે હજારો નિર્દોશ નાગરિકો મોતને ભેટી રહ્યા છે.