Sudan Crisis: સુદાનમાં છેલ્લા ત્રણ વર્ષથી ગૃહ યુદ્ધ ચાલી રહ્યું છે. દેશમાં માનવીય સંકટ વધુ ઘેરું બનતા સેના અને રેપિડ સપોર્ટ ફોર્સ વચ્ચેનો સંઘર્ષ વધુ લોહિયાળ બન્યો છે. રાજનૈતિક પારદર્શિતા ભૂંસાઈ ગઈ છે. તેની વચ્ચે સુદાનના ઉત્તર કોર્ડોફાન વિસ્તારના રાહદ નજીક એક ડ્રોન હુમલામાં ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે. જેમાં આઠ બાળકો પણ સામેલ છે. આ હુમલો દેશના કુખ્યાત પેરા મિલીટરી સમૂહ રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) દ્વારા કરવામાં આવ્યો છે.
લોકો સ્થાળાંતર કરી રહ્યા હતા
મીડિયા રિપોર્ટ અનુસાર મૃતકોમાં બે નવજાત બાળકો પણ છે. હુમલો એ વાહન પર કરવામાં આવ્યો જેની આડમાં લોકો ડરના માર્યા સ્થાળાંતર કરી રહ્યા હતા. ડોક્ટર્સ નેટવર્કએ આંતરરાષ્ટ્રીય સમાજ અને માનવ અધિકાર સંગઠનોને અપીલ કરી છે કે 'સિવિલિયનની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે અને RSF નેતૃત્વને તેના ગુનાઓ માટે જવાબદાર ઠેરવવામાં આવે'
RSFની કોઈ ટિપ્પણી નહીં
ડ્રોન હુમલો એટલો ઘાતકી હતો કે 24 લોકો મોતને ભેટયા છે, જો કે RSF તરફથી હજુ સુધી કોઈ ટિપ્પણી કે જવાબદારી લેવામાં આવી નથી. આ સંગઠન છેલ્લા ત્રણ વર્ષથી સુદાનની સેના સામે દેશ પર કબજો કરવા આતંરિક યુદ્ધ કરી રહ્યું છે. જેનાથી દેશમાં બીમારી અને આપાતકાળની સ્થિતિ પેદા થઈ છે.
ગૃહયુદ્ધમાં 40,000 સૈનિકો મોત
વિશ્વ આરોગ્ય સંગઠનના ગત ડિસેમ્બરના રિપોર્ટ મુજબ યુદ્ધમાં 40,000થી વધુ સૈનિકોના મોત થયા છે, જ્યારે 1.2 કરોડ લોકો પોતાના ઘર છોડવા મજબૂર થયા છે. જ્યારે હજારો લોકો પોતાના જીવ બચાવવા માટે ઘરો છોડીને ક્યાંક ભાગી ગયા છે.
શું છે RSF?
એક અહેવાલ પ્રમાણે આ જૂથ કથિત જંજાવીદ મિલિશિયાથી બન્યું છે, જે વર્ષ 2000માં દારફુર ક્ષેત્રમાં થયેલા સંઘર્ષમાં સામેલ હતું. ખાસ વાત એ છે કે, ત્યાં સરકાર જ બળવાને રોકવા માટે તેનો ઉપયોગ કરી રહી હતી. આ સંઘર્ષમાં 3 લાખ લોકોના મોત થયા હતા અને ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે સરકારી અધિકારીઓ અને મિલિશિયાના કમાન્ડરો પર આરોપ લગાવ્યો હતો.
સમયની સાથે વધતું ગયું અને 2013માં RSFમાં પરિવર્તિત થઈ ગયુ હતું. તે સમયે તેના દળોનો ઉપયોગ સરહદ સુરક્ષા માટે થતો હતો. 2015માં RSFએ સુદાનની સેના સાથે મળીને સૈનિકોને યુદ્ધમાં યમન મોકલવાનું શરૂ કરી દીધુ હતું. તે જ વર્ષે જૂથને રેગ્યુલર ફોર્સનો દરજ્જો મળ્યો. 2017માં RSFને સ્વતંત્ર સુરક્ષા દળનો દરજ્જો આપતો કાયદો પસાર કરવામાં આવ્યો.
દારફુર ઉપરાંત RSFને દક્ષિણ કોર્ડોફાન જેવા વિસ્તારોમાં પણ મોકલવામાં આવ્યા, જ્યાં તેના પર માનવ અધિકાર ઉલ્લંઘનનો આરોપ લગાવવામાં આવ્યો. 2015ના એક અહેવાલમાં હ્યુમન રાઇટ્સ વોચે આ દળને 'નિર્દય લોક' ગણાવ્યું હતું.


