Get The App

બાંગ્લાદેશમાં રોકસ્ટાર જેમ્સની કોન્સર્ટમાં ટોળાનો હુમલો, પથ્થરમારો થતાં કાર્યક્રમ અધવચ્ચે રદ

Updated: Dec 27th, 2025

GS TEAM

Google News
Google News
બાંગ્લાદેશમાં રોકસ્ટાર જેમ્સની કોન્સર્ટમાં ટોળાનો હુમલો, પથ્થરમારો થતાં કાર્યક્રમ અધવચ્ચે રદ 1 - image


Bangladesh News : બાંગ્લાદેશમાં કલાકારો, પર્ફોર્મર્સ અને સાંસ્કૃતિક સંસ્થાઓ પર કટ્ટરપંથી હુમલાઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરની ઘટના ઢાકાથી લગભગ 120 કિલોમીટર દૂર આવેલા ફરીદપુરની છે, જ્યાં લોકપ્રિય ગાયક જેમ્સનો કોન્સર્ટ હિંસા અને પથ્થરમારાને કારણે રદ કરવો પડ્યો હતો.



કોન્સર્ટ શરૂ થાય તે પહેલાં જ હુમલો

સ્થાનિક અહેવાલો અનુસાર, આ કાર્યક્રમ શુક્રવારે રાત્રે 9 વાગ્યે એક શાળાની વર્ષગાંઠ નિમિત્તે યોજાવાનો હતો. પરંતુ તે શરૂ થાય તે પહેલાં જ, બહારથી આવેલા એક જૂથે બળજબરીથી સ્થળમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો અને ભીડ પર પથ્થરમારો શરૂ કરી દીધો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં વિદ્યાર્થીઓએ હુમલાખોરોનો સામનો કર્યો, પરંતુ પરિસ્થિતિ કાબૂ બહાર જતાં સ્થાનિક વહીવટીતંત્રના નિર્દેશ પર કોન્સર્ટ રદ કરી દેવામાં આવ્યો હતો.

તસલીમા નસરીને સાધ્યું નિશાન

આ ઘટના પર પ્રતિક્રિયા આપતા, લેખિકા તસલીમા નસરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે, "જેહાદીઓએ જેમ્સને પર્ફોર્મ કરવા દીધું નહીં". તેમણે આ ઘટનાને બાંગ્લાદેશમાં કલા અને સંસ્કૃતિ પર વધી રહેલા હુમલાઓનું નવું ઉદાહરણ ગણાવ્યું.

બાંગ્લાદેશમાં કટ્ટરપંથી હિંસાનો વધતો પ્રકોપ

તાજેતરના સમયમાં, બાંગ્લાદેશના રસ્તાઓ પર કટ્ટરપંથી અને ઉગ્રવાદી ઇસ્લામિક ટોળાઓનું વર્ચસ્વ વધી રહ્યું છે અને સરકારી તંત્ર પર આંખ આડા કાન કરવાનો આરોપ લાગી રહ્યો છે. આ માહોલમાં કલાકારો, પત્રકારો અને ઘણા મીડિયા હાઉસ હુમલાનો શિકાર બન્યા છે. આ પહેલા પણ છાયાનટ અને ઉદિચી જેવી પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક સંસ્થાઓને નિશાન બનાવવામાં આવી ચૂકી છે.

આરોપ છે કે મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકાર આ ટોળાઓ પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહી છે. વિવેચકો એવો પણ દાવો કરી રહ્યા છે કે ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીઓને ટાળવા માટે હિંસા અને આગચંપીની આ ઘટનાઓને ઇરાદાપૂર્વક પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.